રાજ્યસભામાં રૂ.2000ની નોટ પર સવાલ, અરુણ જેટલીએ સાધ્યું મૌન
સમાજવાદી પાર્ટીના સાંસદ નરેશ અગ્રવાલે રાજ્યસભામાં રૂ.2000ની નોટ અંગે સવાલ કર્યો હતો, જે અંગે અરુણ જેટલીએ ચુપ્પી સાધી હતી.
દેશમાં હાલ સૌથી વધારે ચર્ચાઇ રહેલ મુદ્દો બુધવારે રાજ્યસભામાં પણ ચર્ચાયો હતો. સમાજવાદી પાર્ટીના સાંસદ નરેશ અગ્રવાલે સવાલ કર્યો હતો કે, શું રૂ.2000ની નોટોનુ છપાઇકામ બંધ થઇ ગયું છે? તેમણે ઉપસભાપતિ પી.જે.કુરિયનને કહ્યું હતું કે, જો સરકાર સંસદ સત્ર દરમિયાન પોતાના નીતિગત નિર્ણયો રજૂ કરતી હોય તો એ પણ જણાવવું જોઇએ કે, શું સરકારે આરબીઆઇને રૂ.2000ની નોટોનું છાપકામ બંધ કરવાનું કહ્યું છે?

કોંગ્રેસે પણ કર્યો હુમલો
નરેશ અગ્રવાલ તરફથી મોદી સરકાર પર વાક-પ્રહારો થયા બાદ કોંગ્રેસ સંસદ ગુલામ નબી આઝાદે કહ્યું કે, નોટબંધીનો નિર્ણય ભારતીય રિઝર્વ બેંકનો હતો, તો પછી એની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેમ કરી? દર થોડા દિવસે અખબારમાં વાંચવા મળે છે કે, રૂ.1000ના સિક્કાઓ આવી રહ્યાં છે, તો ક્યારેક 200 અને 500ના સિક્કા આવવાની વાતો થાય છે; તો આ અંગે પણ સરકારે જણાવવું જોઇએ કે, શું ખરેખર રૂ.1000ના સિક્કા આવવાના છે?
અરુણ જેટલીએ સાધ્યું મૌન
મોદી સરકાર પર રૂ.2000ની નોટ અંગે સવાલો થઇ રહ્યા હતા ત્યારે નાણા મંત્રી અરુણ જેટલી સદનમાં બિલકુલ ચુપચાપ બેઠેલા જોવા મળ્યા હતા. ઉપસભાપતિએ તેમને પૂછ્યું પણ ખરું કે, શું તેઓ આ પ્રશ્નો પર કોઇ પ્રતિક્રિયા આપવા માંગે છે? ત્યારે અરુણ જેટલીએ જવાબ આપવની ના પાડી હતી. આ તકનો લાભ લઇ વિપક્ષ તરફથી જેડીયુ સાંસદ શરદ યાદવે કહ્યું કે, જો સરકાર રૂ.2000ની નોટો અંગે સ્પષ્ટતા નહીં આપે, તો લોકો આ ચલણી નોટ પરત આપવા માંડશે અને અફવાઓ વધતી જશે. નાણાં મંત્રી અરુણ જેટલીએ આ અંગે પણ કોઇ જવાબ નહોતો આપ્યો.












Click it and Unblock the Notifications
