સુષ્માએ છોડ્યો ગડકરીનો સાથ! અડવાણીના નામ પર ચર્ચા
આજે સવારે નિતિન ગડકરીએ સુષ્મા સ્વરાજ સાથે મુલાકાત કરી હતી. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે સુષ્મા સ્વરાજે ગડકરીને મદદ કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. તેમણે કહ્યું છે કે, પાર્ટી આ મુદ્દે તેમની કોઇ મદદ કરી શકે તેમ નથી. જો કે, સુષ્મા સ્વરાજે ટ્વિટ કરતા કહ્યું છે કે, મીડિયામાં એવા અહેવાલ છે કે, હું નિતિન ગડકરીને સમર્થન કરી રહી નથી તે ખોટી વાત છે. હું હંમેશા તેમની સાથે હતી અને તેમને મારું સમર્થન મળતું રહેશે. આ બધાની વચ્ચે એવા સમાચાર પણ છે કે ગડકરી અડવાણીને મળવાના છે.
ઉલ્લેખનીય છે કે જેઠમલાનીએ મંગળવારે કહ્યું કે ભાજપના ઘણા ટોચના નેતા ગડકરીને પુનઃ અધ્યક્ષ પદે રાખવામાં આવતા ખુશ થયા નથી. તેમનું કહેવું છે કે ભાજપના નેતાઓ જેમ કે જસવંત સિંહ, યશવંત સિન્હા અને શત્રુગ્ન સિન્હા પણ ગડકરીનો વિરોધ કરી રહ્યાં છે. ગડકરીએ સ્વામી વિવેકાનંદની સરખામણી અન્ડરવર્લ્ડ ડોન દાઉદ સાથે કર્યા બાદ સોમવારે મહેશ જેઠમલાનીએ ભાજપના રાષ્ટ્રીય કાર્યકારિણી પદ પરથી રાજીનામું આપ્યું હતું.
ભાજપના અધ્યક્ષ ગડકરી ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યાં છે, પાર્ટીના ઘણા સભ્યો એ વાતને લઇને ખુશ નથી કે તેઓ હજુ સુધી પોતાના પદ પર યથાવત છે. જેઠમલાનીએ કહ્યું હતું કે ગડકરી વિરુદ્ધ જે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે તેના કારણે ભાજપનું ભ્રષ્ટાચાર સામેનું અભિયાન મુશ્કેલીમાં મુકાયું છે. ગડકરીને અધ્યક્ષ તરીકેની બીજી ટર્મ આપવી જોઇએ નહીં. નોંઘનીય છે કે ભાજપમાં જે રીતે તેમનો વિરોધ થઇ રહ્યો છે તેનાથી બની શકે કે ગડકરી પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે.