ચીનમાં કોરોના કેસો વધતા ભારત એલર્ટ, આરોગ્ય મંત્રાલયે બોલાવી સમીક્ષા બેઠક
ચીનમાં થયેલા કોરોના વિસ્ફોટના કારણે ભારત હવે એલર્ટ મોડ પર આવી ગયુ છે. આજે આરોગ્ય મંત્રાલયે સમીક્ષા બેઠક બોલાવી છે.
Coronavirus: ચીનમાં ફરીથી કોરોનાનો મહાવિસ્ફોટ થયો છે. કોરોનાના કારણે મરનારની સંખ્યા એટલી બધી વધી ગઈ છે કે સ્મશાનગૃહોમાં લાશોના ઢગલા થઈ ગયા છે. આરોગ્ય નિષ્ણાતોનો દાવો છે કે આગામી ત્રણ મહિનામાં ચીનની 60 ટકા વસ્તી કોરોનાથી સંક્રમિત થઈ જશે. ચીનની સ્થિતિ હવે વિશ્વભરના દેશોમાં ચિંતાનુ કારણ બની છે.
ચીનની વર્તમાન પરિસ્થિતિને જોતા ભારત પણ હવે એલર્ટ મોડમાં આવી ગયુ છે. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે દેશમાં કોવિડ-19ની સ્થિતિ પર વરિષ્ઠ અધિકારીઓ અને વિશેષજ્ઞો સાથે બેઠક કરશે. અનુમાન છે કે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોરોનાવાયરસ સંક્રમણના ટ્રેકિંગને લઈને ઘણી સૂચનાઓ જાહેર કરવામાં આવી શકે છે. વળી, સૂત્રોને ટાંકીને એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ક્રિસમસ અને નવા વર્ષને લઈને આરોગ્ય મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી શકે છે. જો કે, મંત્રાલય દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી. આ માત્ર અટકળો છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ ચીન સિવાય જાપાન, અમેરિકા, કોરિયા, બ્રાઝિલમાં પણ કોરોના વાયરસના સંક્રમણના કેસ વધવા લાગ્યા છે. આ જ કારણ છે કે ભારત એલર્ટ મોડમાં આવી ગયુ છે. આને ધ્યાનમાં રાખીને મંગળવારે તમામ રાજ્યોને એલર્ટ કરતા કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે વિનંતી કરી છે કે સંભવ હોય ત્યાં સુધી રોજ આવતા પૉઝિટિવ કેસોના તમામ કેસોની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવે. સચિવે INSACOG જીનોમ સિક્વન્સિંગ લેબ્સ (IGSLs)માં મોકલવાના તેમના આદેશમાં જણાવ્યુ હતુ.
તમને જણાવી દઈએ કે વૉલ સ્ટ્રીટ જર્નલના જણાવ્યા મુજબ કોવિડ-19 દર્દીઓના કારણે ચીનમાં બેઈજિંગના સ્મશાન ઘાટ મૃતદેહોથી ભરાઈ ગયા છે. તેમણે કહ્યુ કે આ માત્ર શરુઆત છે. અનુમાન છે કે કોરોના સંક્રમણથી 20 લાખ લોકોના મોત થઈ શકે છે. આ ઉપરાંત 80 કરોડ લોકો સંક્રમિત થઈ શકે છે.અંદાજ છે કે સ્મશાનગૃહમાં દરરોજ લગભગ 200 મૃતદેહો આવે છે.
હાલમાં ભારતમાં કોરોના વાયરસ સંક્રમણનુ જોખમ ઓછુ છે કારણ કે ભારતમાં 3 રાઉન્ડમાં રસીકરણ કરવામાં આવ્યુ છે. જો કે, સાવચેતી રાખવી જરૂરી છે. આ જ કારણ છે કે બુધવારે એટલે કે આજે આરોગ્ય મંત્રાલય દ્વારા સમીક્ષા બેઠક બોલાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના સંક્રમણને કારણે ભારત સહિત વિશ્વમાં સૌથી ખરાબ સ્થિતિ બીજી લહેર દરમિયાન બની હતી. ભારતમાં બીજી લહેર દરમિયાન મોટાભાગના દર્દીઓમાં ઑક્સિજનની ઉણપ જોવા મળી હતી. આ સાથે બીજી લહેરમાં એટલી મોટી સંખ્યામાં દર્દીઓ આવી રહ્યા હતા કે લોકોને હૉસ્પિટલોમાં બેડ પણ મળતા નહોતા.