NDA વિખેરાશે તો નુકસાન કોનું થશે?
નવી દિલ્હી, 14 જૂન : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જેમ જેમ રાજકારણના કેન્દ્રીય મંચ એટલે કે દિલ્હીની નજીક આવી રહ્યા છે તેમ ચેમ ભાજપની આગેવાનીવાળા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ના મુખ્ય ઘટક પક્ષ જેડીયુ પોતાના હાથ અને પગ એનડીએમાંથી પાછા ખેંચી રહ્યું છે.
નરેન્દ્ર મોદીના વધતા કદ સામે ભાજપના જ વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પાર્ટીમાં મહત્વનાં ત્રણ પદો પરથી રાજીનામુ આપી દીધું છે. અહીં પ્રશ્ન એ છે કે જે એનડીએને અટલ બિહારી વાજપેયી અને જ્યોર્જ ફર્નાન્ડિસ જેવા નેતાઓએ એક કર્યું હતું, તે ભાજપમાં મોદી યુગના પ્રારંભે જ કેમ વિખેરાતું લાગી રહ્યું છે. એનડીએ વિખેરાવાની શરૂઆત થઇ ચૂકી છે અને તેનાથી જેડીયુને નુકસાન થશે કે ભાજપને તેના પર સૌ વિચાર કરી રહ્યા છે.
આવી સ્થિતિમાં ભાજપ એકલું પડી જશે કે એનડીએના અન્ય ઘટક પક્ષો તેને સાથ આપે છે. એનડીએમાં નવા પક્ષો જોડાય છે તે મહત્વનું બની રહેશે. બીજી તરફ એનડીએમાંથી અલગ પડ્યા બાદ જેડીયુની રણનીતિ શું રહે છે તે કોંગ્રેસ અને યુપીએને સાથ આપશે કે સ્વતંત્ર રીતે ત્રીજા મોરચાની રચનામાં મહત્વની ભૂમિકા ભજવશે તેના પર આધાર રહેલો છે. જો આગામી લોકસભા ચૂંટણી 2014માં રાષ્ટ્રીય સ્તરે મોદીનો જાદૂ ના પથરાયો તો સરવાળે ભાજપને મોટું નુકસાન થશે એવી શક્યતાઓ રાજકીય પંડિતો લગાવી રહ્યા છે.