પ્રિયંકા ગાંધીની બોટ યાત્રાથી કેવી રીતે વધશે ભાજપના વોટ?
કોંગ્રેસના નવાસવા મહાસચિવ એ જ મેદાનમાં ફિલ્ડિંગ કરવા પહોંચ્યા છે, જ્યાંથી 2014માં બેટિંગ કરીને નરેન્દ્ર મોદીએ વોટના ચોગ્ગા-છગ્ગા સાથે પક્ષને જીત અપાવી હતી.
કોંગ્રેસના નવાસવા મહાસચિવ એ જ મેદાનમાં ફિલ્ડિંગ કરવા પહોંચ્યા છે, જ્યાંથી 2014માં બેટિંગ કરીને નરેન્દ્ર મોદીએ વોટના ચોગ્ગા-છગ્ગા સાથે પક્ષને જીત અપાવી હતી. મોદીએ ગંગા મૈયાએ બોલાવ્યો હોવાથી દેશસેવા માટે કાશી આવ્યાની વાત કરી હતી. તેમને ગંગામૈયાનો આશીર્વાદ મળ્યો અને ત્રણ દાયકા બાદ પૂર્ણ બહુમત પણ. 5 વર્ષ બાદ પણ મા ગંગાના સહારે લોકો સુધી પહોંચવા મથી રહ્યા છે. પરંતુ જાણ્યે અજાણ્યે તેમણે ભાજપને તેમની જ પિચ પર ધૂંઆધાર બેટિંગ કરવાની તક તો નથી આપીને?
આ પણ વાંચો: ગંગા યાત્રામાં પ્રિયંકાએ પીએમ મોદી પર કર્યો કટાક્ષ - ગરીબ નહિ અમીર રાખે છે ચોકીદાર
ગંગા જળનું આચમન અને વોટરવે થી યાત્રા
બોટ યાત્રા શરૂ કરતા પહેલા પ્રિયંકા ગાંધીએ મા ગંગાની પૂજા કરી અને પવિત્ર ગંગા જળનું આચમન પણ કર્યું. એક તરફ જ્યારે મોદી સરકાર સામે ગંગાની શુદ્ધિને લઈ સવાલ ઉઠી રહ્યા છે ત્યારે પ્રિયંકા ગાંધીએ ગંગા જળનું આચમન કરીને મોદી સરકારને ગંગા શુદ્ધિનું સર્ટિફિકેટ તો નથી આપી દીધું ને ? ગંગા સફાઈ મામલે હવે કોંગ્રેસના નેતાઓ કયા મોઢે ભાજપ પર આક્ષેપ કરશે?
તાજેતરમાં જ એક સંકટ મોચન ફાઉન્ડેશનના રિપોર્ટને લઈ હોબાળો મચી ચૂક્યો છે. આ રિપોર્ટમાં ગંગા સફાઈ મામલે સવાલ ઉઠાવાયા હતા. જો કે બાદમાં આ રિપોર્ટ સામે જ સવાલ ઉઠી ચૂક્યા છે. એટલું જ નહીં રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા પ્રયાગરાજથી ગંગામાં જે રસ્તે મોદીના સંસદીય ક્ષેત્ર કાશી જઈ રહ્યા છે, તે પણ મોદીના પ્રિય પ્રોજેક્ટ ઈનલેન્ડ વોટર વેઝનો જ ભાગ મનાય છે. જો ચૂંટણીની નજરથી જોઈએ તો પ્રિયંકા આ બીજો મોટો મુદ્દો ભાજપને ભેટ આપી ચૂકી છે. શું 5 વર્ષ પહેલા પ્રયાગરાજથી કાશીની બોટ યાત્રા આટલી સરળ હતી ? એટલે કે ભાજપે અને મોદીએ ગંગાને પવિત્ર કરવા અને તેને જળવી રાખવા કોઈ પગલાં નથી લીધા તે કોંગ્રેસ હવે કેવી રીતે સાબિત કરશે.
મોદીના મેદાનમાં ફિલ્ડિંગ
ભારત અને સ્થાનિકો માં ગંગાનું મહત્વ કેટલું છે તે તમામ લોકો જાણે છે. ખાસ કરીને યુપીના લોકો માટે ગંગા એક પવિત્ર નદી કરતા પણ જીવનદાયિની વધુ છે. મોદી 2014માં યુપીથી જ ભાજપને જીત અપાવીને દિલ્હી પહોંચ્યા હતા. તેમાં ગંગાની પવિત્રતા પાછી લાવવાની સોગંદ પણ સામેલ હતી. કોંગ્રેસે પ્રિયંકા માટે જે ગંગા રેખા તૈયાર કરી છે, તેમાં મોદીના એ જ માસ્ટર સ્ટ્રોકને બદલવાની ચિંતા છે તે વાતમાં બેમત નથી. બોટયાત્રા સરૂ કરતા પહેલા પ્રિયંકા ગાંધીએ સ્થાનિકોને જ પત્ર લખ્યો તેમાં કહ્યું,'ગંગા સચ્ચાઈ અને સમાનતાનું પ્રતીક છે. ગંગા આપણી ગંગા જમુના સંસ્કૃતિનું ચિહ્ન છે. તે ભેદભાવ નથી કરતી, તે યુપીનો સહારો છે અને હું ગંગાના સહારે તમારા સુધી પહોંચીશ.
એટલું જ નહીં એવી પણ માહિતી સામે આવી રહી છે કે આ દરમિયાન તે યુપીના વિદ્યાર્થીઓ સાથે બોટ પર ચર્ચા પણ કરશે. 16મી લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપના કાર્યક્રમ ચાય પે ચર્ચાને જબરજસ્ત લોકપ્રિયતા મળી હતી. સવાલ એ પણ છે કે કોંગ્રેસના વ્યૂહરચનાકારો પાસે શું મોદીને હંફાવવા માટે મોદીના જ મુદ્દા અને રસ્તા બચ્યા હતા. સવાલ એ પણ છે કે શું ખરેખર આ રણનીતિથી રાજ્યમાં લગભગ મૃતપાય થઈ ચૂકેલા સંગઠનને બેઠું કરશે. કે પછી કોંગ્રેસે સામેથી ભાજપને મુદ્દા ભેટ કર્યા છે.
નિર્મલ ગંગાની સ્થિતિ
નમામિ ગંગે યોજના મોદીની બહુપ્રચારિત યોજના છે. સરકારી આંકડા પ્રમાણે નમામિ ગંગે અંતર્ગત ગત વર્ષ સુધી 24,672 કરોડ રૂપિયાના 254 પ્રોજેક્ટને મંજૂરી અપાઈ છે. જેમાં સીવેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઘાટ, સ્મશાનનો વિકાસ, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ, નદીની સફાઈ, ગ્રામીણ સ્વચ્છતા જેવી યોજનાઓ સામેલ છે. જેમાંથી કેટલાક પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે જે માર્ચમાં સમાપ્ત થઈ શકે છે. ગંગાની સફાઈ માટે હરિદ્વારથી સાહિબગંજ સુધી ટ્રેશ સ્કીમર્સ પણ કામ કરી રહ્યા છે. ગંગાકિનારે વસેલા 4465 ગામ ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર થઈ ચૂક્યા છે.
યુપીના કાનપુરના નિટક સીસામઉ નાળાનું ગંદુ પાણી ગંગામાં વહેતું અટકાવવું એ ગંગા સફાઈ મામલે સરકારની મોટી સફળતા છે. આવું થવાથી 140 MLD પ્રદૂષિત પાણી ગંગામાં ભળતુ અટકી ગયું છે. હવે તેને એસટીપી ટ્રિટમેન્ટ પ્લાન્ટમાં મોકલાઈ રહ્યું છે. આ ઉપરાંત ગંગા જળની ગુણવત્તાની તપાસ માટે 36 રિયલ ટાઈમ વૉટર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન ચાલુ હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે.
ભાજપ પાસે છે તક
યુપીમાં ભાજપની સરકાર તાજેતરમાં જ કુંભનું સફળ આયોજન કરી ચૂકી છે. લગભફગ 2 મહિના પહેલા કુંભ દરમિયાન કરોડો શ્રદ્ધાળુઓ સંગમમાં ડૂબકી લગાવી ચૂક્યા છે. આ વખતે વિશ્વના સંખ્યાબંધ દેશોના પ્રતિનિધિઓને મોદી સરકારે કુંભ સ્નાન માટે આમંત્રણ આપ્યું હતું. અને મોટા ભાગના લોકોએ સંગમમાં પવિત્ર સ્નાનનો લાભ પણ લીધો. પરંતુ ક્યાંય ગંગામાં ગંદકી હોવા અંગે સમાચાર સામે નથી આવ્યા. ત્યારે પ્રિયંકા ગાંધીની ગંગા યાત્રા મોદીને ઘેરવામાં કેટલી સફળ થશે તે જોવું રસપ્રદ રહેશે. કારણ કે યુપી જ નહીં પરંતુ આખા દેશમાં મોદી અને યોગીની જોડી ગંગાની સ્વચ્છતા અને કુંભની સફળતાને સરકારની સફળતા ગણવવાની તક મળી શકે છે. જેનો વિચાર જાણ્યે અજાણ્યે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી જ આપી ચૂક્યા છે.