અણ્ણા હજારેની તબિયત લથડી, હોસ્પિટલમાં ભરતી
નવી દિલ્હી, 7 ડિસેમ્બર: દેશની જનતાના સૌથી લાડકવાયા સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેની શુક્રવારે સવારે અચાનક તબિયત ખરાબ થઇ ગઇ હતી. તેમને ગુડગાંવની એક ખાનગી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં છે.
આ અંગે જાણકારી આપતાં તેમની સહયોગી કિરણ બેદીએ જણાવ્યું હતું કે અણ્ણા હજારેની રાત્રે અચાનક તબિયત ખરાબ થઇ ગઇ હતી. તેમને મેદાંતા મેડિસિટી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યાં છે.
તેમને જણાવ્યું હતું કે અણ્ણાએ તેમની તબિયતને નાદુરસ્ત બતાવી હતી, અમે સમય વ્યર્થ કર્યા વિના તેમને હોસ્પિટલ લઇ ગયા હતા. તેમને કેયર યૂનિટમાં રાખવામાં આવ્યાં છે. ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે.
બીજી તરફ આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે અણ્ણા હજારેની તબિયત ખરાબ હોવાની વાતની પુષ્ટિ કરી હતી. તેમને ભગવાન પાસે પ્રાર્થના કરી છે કે તે જલદી ઠીક થઇ જશે.
અમે તમને જણાવી દઇએ કે ગુરૂવારે સાંજે ટીવી ચેનલ આજતકના કાર્યક્રમમાં અણ્ણા હજારેએ ભાગ લીધો હતો. તે સમયે તેમની તબિયત સારી ન હતી. જેથી કાર્યક્રમ પૂર્ણ થતાં તે તાત્કાલિક ચાલ્યાં ગયા હતા. ડૉક્ટરોનું કહેવું છે કે હાલમાં ચિંતાની કોઇ જરૂર નથી. અણ્ણા હજારે જલદી સ્વસ્થ થઇ જશે. મેદાંતા હોસ્પિટલ તે છે જ્યાં અણ્ણાને ગત વર્ષે અનશન દરમિયાન દાખલ કરવામાં આવ્યાં હતા.