ગુજરાત ચૂંટણી: સર્વે મુજબ નરેન્દ્ર મોદીની હેટ્રિક નિશ્વિત
નવી દિલ્હી, 25 નવેમ્બર: ચૂંટણી પહેલાં એક સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતાનો જાદૂ પાથરી શકશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 124 સીટો પર વિજય પ્રાપ્ત થશે, જ્યારે કોંગ્રેસને 51 સીટોથી સંતોષ મેળવવો પડશે.
એબીપી ન્યૂઝ-નિલ્સનના સર્વેક્ષણ અનુસાર 182 સીટો માટે યોજાનારી વિધાનસભાની ચૂંટણી ભાજપને 124 સીટો પર વિજય મળવાની સંભાવના છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભામાં ભાજપને 117 સીટો મળી હતી. ગત વિધાનસભાની ચૂંટણીની સરખામણી ભાજપને વધુ 7 સીટો પર વિજય પતાકા લહેરાવશે તેવી આશા છે. જ્યારે સાત સીટોના નુકસાન સાથે કોંગ્રેસને 51 સીટોથી સંતોષ મેળવવો પડશે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 59 સીટો મળી હતી.
સર્વેક્ષણમાં કહેવામાં આવે છે કે પૂર્વ ભાજપના નેતા કેશુભાઇ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીના ખાતામાં ફક્ત ત્રણ સીટો આવી શકે છે. રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીને ચાર સીટો પરથી જીત મળી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં પટેલ પ્રભુત્વ વધારે હોવાછતાં ભાજપ ત્યાંથી 54 માંથી 39 સીટો મેળવી શકે છે.
સર્વેક્ષણમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે આ સર્વેક્ષણમાં ભાગ લેનારા 53 ટકા લોકોનું કહેવું છે 2014ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં ભાજપનું નેતૃત્વ કરવું જોઇએ. ચૂંટણી પહેલાં કરવામાં આવેલા આ સર્વેક્ષણ અનુસાર અરવિંદ કેજરીવાલ રાજકારણમાં જંપલાવી રહ્યાં છે તેની લોકો પર ખાસ અસર જોવા મળશે નહી. ફક્ત 15 ટકા લોકો તેમને સમર્થન કરી રહ્યાં છે.