નવીન પટનાયકે ત્રીજા મોરચાનું કર્યું સમર્થન, ભાજપ સાથે ગઠબંધન કરશે નહી
નવી દિલ્હી, 15 એપ્રિલ: ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ ત્રીજા મોરચાને લઇને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમના મત મુજબ ત્રીજો મોરચો એક સારો વિકલ્પ છે. તેમના આ નિવેદનથી કોંગ્રેસમાં ખળભળાટ મચી શકે છે. નવીન પટનાયકે ત્રીજા મોરચાને સમર્થન જરૂર કર્યું પરંતુ આ મુદ્દે વધુ કહેવા અંગે ઉતાવળ ગણાવી છે.
આ પહેલાં ડીએમકેએ યુપીએ સરકારમાંથી સમર્થન પાછ્યું ખેંચ્યા બાદ મુલાયમ સિંહના સરકાર વિરૂદ્ધ આવા નિવેદન આવ્યા છે જેનાથી સરકાર પરેશાન થઇ ગઇ છે. જો કે મુલાયમ સિંહ યાદવ પહેલાં પણ ત્રીજા મોરચા અંગે કહી ચુક્યાં છે.
નવીન પટનાયકને પુછવામાં આવ્યું હતું કે શું તેમની પાર્ટી બીજદ આગામી ચુંટણીમાં પૂર્વની સહયોગી ભાજપ સાથે ગઠબંધન કરશે, તો તેમને કહ્યું હતું કે ત્રીજો મોરચો ઘણો સારો વિકલ્પ છે.
નવીન પટનાયકે એક સંમેલન દરમિયાન સંવાદદાતાઓને સંબોધતા કહ્યું હતું કે ભાજપ સાથે ગઠબંધન કરવાનો કોઇ સવાલ જ નથી. તેમને કહ્યું હતું કે ત્રીજો મોરચો ઘણો સારો વિકલ્પ છે. બીજદ ઓરિસ્સામાં 1999થી સત્તામાં છે. 2009 સુધી ભાજપ સાથે તેનું ગઠબંધન હતું. 2009માં ઓરિસ્સા વિધાનસભાની ચુંટણી પહેલાં બીજદએ ભાજપ સાથે સંબંધ તોડી દિધો હતો.
નવીન પટનાયકના આ નિવેદન પર મુલાયમ સિંહ યાદવ પોતાની પ્રતિક્રિયા આપી શકે છે. જો કે હજુસુધી નવીન પટનાયકના નિવેદન બાદ કોઇ રાજકીય પક્ષનું કોઇ નિવેદન સામે આવ્યું નથી.