સરબજીત સિંહને શહીદ જાહેર કરવામાં આવે: પરિવાર
નવી દિલ્હી, 2 મે: ભારતીય કેદી સરબજીત સિંહના પરિવારની માંગણી છે કે સરબજીત સિંહના દેહને તેમને સોંપવામાં આવે અને તેને 'શહીદ' જાહેર કરવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે લાહોરની એક હોસ્પિટલમાં આજે રાત્રે સરબજીત સિંહનું મોત નિપજ્યું છે. સરબજીત સિંહ પર પાકિસ્તાનની જેલમાં ઘાતક હુમલો કરવામાં આવ્યો હોવાથી સરબજીત સિંહ ગત છ દિવસ સુધી કોમા રહ્યાં બાદ તેમનું મોત નિપજ્યું હતું.
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ઉપાધ્યક્ષ રાજકુમાર વેરકાએ કહ્યું હતું કે પરિવારે સરબજીત સિંહનું પૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આ ઉપરાંત પોતાની માંગણીઓ વિશે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને જણાવી દિધું છે.
વેરકાએ જણાવ્યું હતું કે તેમને એ પણ માંગણી કરી છે કે કેન્દ્ર પરિવારની જવાબદારી લે. તેમને કહ્યું હતું કે સરબજીત સિંહના પરિવારની માંગણીઓ પર વિચાર કરવા માટે સરકાર ગુરૂવારે બેઠક કરશે. સરબજીત સિંહનો પરિવાર 15 દિવસના વિઝા પર હુમલાના બે દિવસ બાદ રવિવારે પાકિસ્તાન ગયો હતો અને બુધવારે ભારત પરત ફર્યો હતો.
સરબજીત સિંહની પત્ની સુખપ્રીત કૌર, પુત્રીઓ પૂનમ અને સ્વપ્નદીપ કૌર તથા બહેન દલબીર કૌર લાહોરથી ભારત પરત ફર્યા હતા. વેરકાએ કહ્યું હતું કે સરબજીત સિંહના પરિવારના સભ્યો મોતના સમાચાર બાદ આઘાતમાં છે. સરબજીત સિંહના પરિવારના સભ્યો વેરકાના નવી દિલ્હી સ્થિત નિવાસસ્થાન પર છે. વેરકાએ કહ્યું હતું કે તેમને કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસે માંગણીઓ મોકલી દિધી છે અને ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે સહીત કેન્દ્રીય નેતાઓના સંપર્કમાં છે.