અમદાવાદનો કિન્નર સમુદાય એકજૂથ થઇને મતદાન કરવા ઉત્સુક
૨૦૧૪થી સુપ્રીમ કોર્ટ દ્વારા કિન્નર સમુદાયને 'અન્ય જાતિ' કેટેગરીમાં સમાવિષ્ટ કરવામાં આવી છે ત્યારથી અમને ટ્રાન્સજેન્ડર તરીકે સ્વતંત્ર રીતે મતદાન કરવાનો હક્ક મળ્યો છે. આ અગાઉ અમે પુરુષ અથવા સ્ત્રી કેટેગરીમાં મતદાન કરતા હતા
૨૦૧૪થી સુપ્રીમ કોર્ટ દ્વારા કિન્નર સમુદાયને 'અન્ય જાતિ' કેટેગરીમાં સમાવિષ્ટ કરવામાં આવી છે ત્યારથી અમને ટ્રાન્સજેન્ડર તરીકે સ્વતંત્ર રીતે મતદાન કરવાનો હક્ક મળ્યો છે. આ અગાઉ અમે પુરુષ અથવા સ્ત્રી કેટેગરીમાં મતદાન કરતા હતા.
દિવાળી, હોળી, રક્ષાબંધન જેવા તહેવારોની જેમ જ ચૂંટણીને પણ ખરા અર્થમાં તેઓ એક અવસર અને ઉત્સવ માને છે. અવસર ગમતા ઉમેદવારને ચૂંટવાનો, અવસર પોતાને મળેલા હક્કને ઉજાગર કરવાનો,અવસર સમાજમાં લોકશાહીના સૌથી મોટા ઉત્સવ ચૂંટણીમાં મતદાન પ્રત્યેની જાગૃતિ ફેલાવવાનો, આ અવસરને તેઓ લોકશાહીનો સૌથી મોટો અવસર સમજે છે.
અમદાવાદ જિલ્લા કલેકટર ધવલ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં ૨૧૧ જેટલા અન્ય જાતિ કેટેગરીના મતદારો નોંધાયા છે. દરેક ચૂંટણીમાં અન્ય જાતિના મતદારો ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે મત આપવા જતા હોય છે. તેવી જ રીતે આ ચૂંટણીમાં પણ કિન્નર સમુદાયના લોકો એકજૂથ થઈને અચૂકપણે મતદાન કરવા કટિબદ્ધ અને ઉત્સાહી છે.
કિન્નર શિલ્પા દે પાવૈયા કહે છે કે, ચૂંટણી એક હરખનો અવસર છે. બંધારણે કિન્નર સમાજને હક્કથી જીવવાનો અધિકાર આપ્યો છે. મત આપવાનો અને મનપસંદ નેતા અને સરકાર ચૂંટવાનો આપણને હક્ક છે ત્યારે મતદાન અચૂકથી કરીને આ અવસરમાં સહભાગી બનવું જોઇએ. અમારા કિન્નર સમુદાયના લોકો એકસાથે ભેગા મળીને વોટ કરવા જશે. વધુમાં તેઓ સમાજના દરેક વર્ગ, સમુદાય, યુવા, પુરુષ , સ્ત્રી, અને દિવ્યાંગ મતદારોને પણ જરૂરથી મતદાન કરવા માટેની અપીલ કરે છે.
અમદાવાદના જમાલપુર અખાડામાં રહેતા કિન્નર સમુદાયના લોકોમાં જેટલા પણ લોકો અન્ય જાતિ તરીકે નોંધાયેલા છે તેઓ બધા ચૂંટણીમાં ઉમંગ, ઉત્સાહ અને ગર્વભેર મતદાન કરવા અચૂક જાય છે. આમાંથી ઘણાંય એવા લોકો છે, જેઓ છેલ્લાં ૩૫થી ૪૦ વર્ષમાં એક પણ ચૂંટણીમાં મતદાન કરવાનું ચૂક્યા નથી. તેઓએ દરેક ચૂંટણીમાં મત આપ્યો છે, કેમકે તેઓ મતની તાકાત સમજે છે. મત આપીને તેમને આત્મસંતોષ થાય છે.