અજગર ગળી ગયો વાંદરાનુ બચ્ચુ, વન વિભાગની ટીમે કર્યો બચાવ
વડોદરામાં અજગર સાથે બનેલી એક વિચિત્ર ઘટના સામે આવી છે. જાણો કેવી રીતે થયો અજગરનો બચાવ.
વડોદરામાં અજગર સાથે બનેલી એક વિચિત્ર ઘટના સામે આવી છે. અજગર એક વાંદરાના બચ્ચનાને આખો આખો ગળી ગયો પરંતુ ના તો એ તેને પૂરુ ગળી શક્યો કે ના એને બહાર કાઢી શકતો હતો. વાંદરાનુ બચ્ચુ અજગરના પેટમાં અટકી ગયુ હતુ. વન વિભાગની ટીમ દ્વારા અજગરનુ રેસ્ક્યુ કરીને વાંદરાને અજગરના પેટમાંથી બહાર કાઢવામાં આવ્યુ હતુ. મળતી માહિતી મુજબ વડોદરામાં વાસણા કોતરિયા ગામની સીમમાં અજગર સાથે એક વિચિત્ર ઘટના બની હતી. તે બે દિવસ પહેલા એક વાંદરાનુ બચ્ચુ ગળી ગયો હતો ત્યારે આ બચ્ચુ તે ના તો પચાવી શકતો હતો અને ના બહાર કાઢી શકતો હતો, તે વચમાં જ અટકી ગયુ હતુ.
વન વિભાગને માહિતી મળતા આ અજગરને વડોદરાના વન વિભાગની નર્સરીમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં ટીમ દ્વારા મહામહેનતે અજગરના પેટમાંથી વાંદરાનુ બચ્ચુ બહાર કાઢવામાં આવ્યુ હતુ. આ રીતે વન વિભાગની ટીમ દ્વારા અજગરનો જીવ બચાવવામાં આવ્યો હતો. વન વિભાગની ટીમના જણાવ્યા મુજબ અજગરે વાંદરાના બચ્ચાનો શિકાર બે દિવસ પહેલા કર્યો હોય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. વન વિભાગના કર્મચારીએ જણાવ્યા મુજબ અજગરના પેટમાં વાંદરાનુ બચ્ચુ ફસાઈ ગયુ હતુ માટે કર્મચારીઓએ અજગરના પેટમાં વચ્ચેના ભાગમાં થપથપાવતા અજગરે વાંદરાને ધીમે ધીમે મોઢા બાજુ ધકેલવાનુ શરૂ કર્યુ હતુ અને થોડીક જ સેકન્ડમાં વાંદરાનુ આખુ બચ્ચુ ઓકી દીધુ હતુ. વાંદરાનુ બચ્ચુ 2 મહિના આસપાસની હોવાનુ અનુમાન છે.
વન વિભાગના વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ અજગર તેની આસપાસના તાપમાનના ફેરફારને કળીને શિકારને પકડે છે. જો શિકાર નજીક આવે અને તેના તાપમાનમાં ફેરફાર હોય તો અજગર સીધો તેના પર હુમલો કરે છે અને પછી માથાના ભાગેથી ગળી જાય છે. ખોરાક પચાવતા તેને ચોમાસામાં 15 દિવસ જેટલો સમય લાગે છે. ચોમાસામાં પાચનક્રિયા ધીમી થઈ જતી હોય છે. સામાન્ય રીતે ચોમાસામાં ખોરાક જલ્દી ન પચવાના કારણે અજગર મૃત્યુ પામતા હોય છે. ગયા વર્ષે જૂન મહિનામાં આબુ નજીક હેટમજી ગામે અજગરે બે વાંદરા ગળી જતા તેનુ મોત નીપજ્યુ હતુ.