અણ્ણા હઝારેને કેનેડીયન પુરસ્કાર, દેશ માટે ગૌરવ!
ટોરંટો, 27 સપ્ટેમ્બર : જે ગાંધીવાદી વિચારધારા ભારતના લોકોની વચ્ચેથી અદ્રશ્ય થતી જઇ રહી છે, જેને બરાક ઓબામા જેવા લોકો અપનાવવા માગે છે, તેને જ પ્રોત્સાહિત કરવાનું કાર્ય કરી રહેલા અણ્ણા હઝારેને કેનેડાએ વધુ એક પુરસ્કારથી નવાજ્યા છે. આ પુરસ્કારથી અણ્ણાને એક લાખ ડોલરનો ચેક પણ એનાયત કરવામાં આવશે.
ભારતમાં ભ્રષ્ટાચાર વિરોધી ઝૂંબેશના પ્રતિક બની ચૂકેલા અણ્ણા હઝારે કેનેડાના આ નવા એવોર્ડથી સન્માનિત થનાર દુનિયાના પહેલા વ્યક્તિ બનશે. આ એવોર્ડ સત્તાના દુરુપયોગ અને માનવાધિકારોનું હનન વિરુદ્ધ લડનાર વ્યક્તિને ધ્યાનમાં રાખીને આપવાનું નક્કી થયું છે.
'અલ્લાર્ડ પુરસ્કાર'ની પસંદગી કેનેડાના બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટીએ કરી છે અને આની જાહેરાત બુધવારે કરવામાં આવી. જાહેરાત કરતા યુબીસીએ જણાવ્યું કે વર્તમાનમાં આ સન્માન માટે દુનિયામાં સૌથી ઉત્તમ અને યોગ્ય વ્યક્તિ અણ્ણા હઝારે છે. આ પુરસ્કારનું ગઠન યુબીસીના વિધિ સંકાયના પૂર્વ વિદ્યાર્થી પીટર અલ્લાર્ડે સ્થાપિત કર્યો હતો.
યુબીસી તરફથી જારી કરવામાં આવેલી જાહેરાત અનુસાર આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતા માટે આ પુરસ્કાર એ વ્યક્તિ, આંદોલન અથવા સંસ્થાને આપવાનો છે જે ખાસ કરીને પારદર્શક, જવાબદેહી અને કાયદાના રાજને પ્રોત્સાહન દ્વારા ભ્રષ્ટાચારની સામે લડવામાં અભૂતપૂર્વ સાહસ અને નેતૃત્વનું પ્રદર્શન કર્યું હોય. જાહેરાતમાં કહેવાયું છે કે ગાંધીવાદી અણ્ણા હઝારે ભારતમાં એક પ્રભાવશાળી અને જાણીતા સામાજિક કાર્યકર્તા છે. અણ્ણા હઝારેની આ એવોર્ડ માટે પસંદગી ભારત માટે ગૌરવની વાત છે.