મોદીની ટિપ્પણીએ ચીનની પણ ઉડાવી ઉંઘ
બેઇજિંગ, 24 ફેબ્રુઆરીઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવતી ટિપ્પણીથી માત્ર પાડોશી દેશ પાકિસ્તાન જ પરેશાન નથી, પરંતુ તેમની ટિપ્પણીથી ચીનની પણ ઉંઘ ઉડી ગઇ છે. તાજેતરમાં નરેન્દ્ર મોદી દ્વારા એવી ચેતાવણીભર્યા અંદાજમાં ટિપ્પણી કરી હતી કે, ચીન પોતાની વિસ્તારવાદી માનસિકતાને છોડે. મોદીની આ પ્રકારની ટિપ્પણી બાદ ચીન દ્વારા જવાબ આપવામાં આવ્યો છે, અને કહ્યું છે કે અમે ક્યારેય અન્ય દેશોની જમીન હડપવા માટે યુદ્ધ કરતા નથી.
‘સરહદ વિસ્તાર પર છેલ્લા ઘણા વર્ષોથી કોઇપણ પ્રકારનો સેન્ય સંઘર્ષ થયો નથી, જે એ વાતનો મજબૂત પુરાવો છે કે અમારમાં શાંતિ જાળવી રાખવાની સક્ષમતા છે. જે દ્વિપક્ષી સંબંધોના ભવિષ્યના વિકાસ માટે સારી વાત છે,' તેમ તેમણે કહ્યું છે. વધુમાં કહ્યું કે, 1962ના યુદ્ધ બાદ સિનો-ભારતીય સરહદે એક બીજાની સામ સામે આવી જવાની કોઇ મોટી ઘટના બની નથી. જે અમારા લોકો માટે નહીં પરંતુ તમામ લોકો માટે સારી વાત છે. અમને આશા છે કે, એ માટે આપણે સાથે મળીને કામ કરીશું.
અરૂણાચલ પ્રદેશમાં પાસીઘાટમાં એક સભાને સંબોધિત કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ચીને પોતાની વિસ્તારવાદી નીતિ છોડી દેવી જોઇએ અને બન્ને દેશોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે દ્વિપક્ષીય સંબંધોને વધારો આપવો જોઇએ. તેમણે કહ્યું હતું કે, અરૂણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે અને હંમેશા રહેશે, કોઇપણ શક્તિ તેને છીનવી શકે નહીં, અરૂણાચલ પ્રદેશના લોકોએ ચીનના દબાવ કે ભયમાં રહેવાની જરૂર નથી.
મોદીની ટિપ્પણી પર તેમણે કહ્યું કે, સરહદના પૂર્વ વિસ્તાર માટે અમારી સ્થિતિ એકદમ સ્પષ્ટ અને સુસંગત છે. અમે અમારા પાડોસી સાથે સુમેળભર્યા અને મૈત્રીપૂર્ણ સંબંધોમાં સારો વિકાસ કરવા તથા સંવાદ અને પરામર્શના માધ્યમથી સંબંધિત વિવાદો અને મતભેદોને ઉકેલવા ઇચ્છીશું. 4000 કિમીની વાસ્તવિક અંકુશ રેખાને લઈને ભારત અને ચીન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે અને ચીને અરૂણાચલ પ્રદેશ એટલે કે દક્ષિણ તિબેટ પર પોતાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, હાલ ચીન અને ભારત દ્વારા સારી રીતે દ્વિપક્ષીય સંબંધો જાળવી રાખવામાં આવ્યા છે. બે નેતાઓએ દ્વીપક્ષીય સંબંધોને સર્વસમંતિ પૂર્વક આગળ વધારવા તૈયાર છે. આપણે આશા રાખીએ કે સરહદને લઈને વાટાઘાટો શક્ય તેટલી ઝડપથી કરવામાં આવશે.