સંઘર્ષમય સચિનના બચાવમાં ઉતર્યું બીસીસીઆઇ
મુંબઇ, 26 નવેમ્બર: સોમવારે મુંબઇ ખાતે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં 10 વિકેટથી ભારતનો પરાજય થયા બાદ બીસીસીઆઇ બચાવની મુદ્રામાં આવી ગઇ છે, ખાસ કરીને સતત નિષ્ફળ જઇ રહેલા સચિન તેંડુલકર માટે. તેંડુલકર ઇંગ્લેન્ડ સામેની બન્ને ટેસ્ટમાં નિષ્ફળ નિવડ્યો છે.
શુક્લાએ કહ્યું કે તેંડુલકરને કોઇ સલાહની જરૂર નથી અને જે લોકોને તેને સલાહ આપી રહ્યાં છે તેમણે સચિનના રેકોર્ડ પર નજર ફેરવી લેવી જોઇએ. તેમણે કહ્યું, ' સચિન નિવૃત્તિ અંગેનો નિર્ણય ત્યારે લેશે જ્યારે તેને એવું લાગશે કે હવે જવાનો સમય આવી ગયો છે. તેને એ માટે કોઇની સલાહની જરૂર નથી. તેના પર કોઇપણ પ્રકારની ટિપ્પણી કરતા પહેલા તેના રેકોર્ડ અને ભુતકાળના પ્રદર્શન પર નજર ફેરવી લેવી જોઇએ.'
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના પૂર્વ સુકાની સુનિલ ગાવસ્કરે કહ્યું હતું કે મુંબઇ ટેસ્ટ બાદ સચિન અંગે પસંદગીકારોએ વિચારવું જોઇએ. ત્રીજી અને ચોથી ટેસ્ટ માટેની ટીમની પસંદગી માટે પસંદગી સમિતિએ ટૂંક સમયમાં મળવું જોઇએ. ત્રીજી મેચ કોલકતા ખાતે પાંચ ડિસેમ્બરે રમાશે.
મુંબઇ ખાતે રમાઇ રહેલી બીજી ટેસ્ટની બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડિયાએ ધબડકો કરતા ઇંગ્લેન્ડ સામે માત્ર 57 રનનો લક્ષ્યાંક આવ્યો હતો. જે ઇંગ્લેન્ડે એક પણ વિકેટ ગુમાવ્યા વગર મેળવી લીધો છે. ઇંગ્લેન્ડ તરફથી મળેલી 86 રનની લીડનો પીછો કરતા ભારતની ટીમ 142 રનમાં જ ઓલઆઉટ થઇ જતા ઇંગ્લેન્ડ સામે માત્ર 57 રનનો લક્ષ્યાંક આવ્યો હતો. ભારત તરફથી બીજી ઇનિંગમાં માત્ર ગૌતમ ગંભીરે સર્વાધિક 65 રન બનાવ્યા હતા. જ્યારે અશ્વિનને બાદ કરતા એક પણ ખેલાડી ડબલના આંકને પાર કરી શક્યો ન હતો. ઇંગ્લેન્ડ તરફથી પાનેસર 6 અને સ્વાને 4 વિકેટ મેળવી હતી. કૂકે 18 અને કોમ્પટોને 30 રન ફટકારી વિજય મેળવ્યો હતો.