હું હવે જિંદગીમાં ક્યારેય ક્રિકેટ નહીં જોઉઃ વિંદુ દારા સિંહ
મુંબઇ, 6 જૂનઃ સ્પોટ ફિક્સિંગમાં નામ આવ્યા બાદ ધરપકડ કરવામાં આવેલા વિંદુ દારા સિંહને જમાનત મળ્યા બાદ આજે મીડિયાને ઇન્ટરવ્યુ આપતા કહ્યું છે કે, આ આખા પ્રકરણ દરમિયાન મીડિયાએ બેજવાદબારી દર્શાવી, જેના કારણે તેની છબી ખરાબ થઇ છે. વિંદુએ કહ્યું છે કે હું સ્પોટ ફિક્સિંગમાં સામેલ નહોતો, ચેન્નાઇ ટીમના સીઇઓ ગુરુનાથ મયપ્પન મારા મિત્ર છે, હું તેમને ઘણા સમયથી જાણું છું. અમે બન્નેએ ફિક્સિંગ નથી કરી, પરંતુ તેમ છતાં પોલીસ અમને રિમાન્ડમાં લઇ ગઇ. હવે કોર્ટે કહીં દીધું છે કે આ મામલા સાથે મારે કોઇ લેવા દેવા નથી. હવે આ વિષયમાં મીડિયાને હું કોઇ ઇન્ટરવ્યું નહીં આપું.
તેમણે સાક્ષી સાથેના પોતાના સંબંધો અંગે પણ કહ્યું છે કે, ચેન્નાઇમાં મેચ જોવા ગયો હતો, સાક્ષી ધોનીએ મને કહ્યું હતું કે વિંદુ ભૈયા અહીં આવીને બેસો. જો કે આ પ્રકારની અફવાઓ પાયા વિહોણી છે કે તેમની ફિક્સિંગમાં કોઇ ભૂમિકા છે. સાચી વાત તો એ છે કે મે ટીમ ઇન્ડિયાના સુકાની ધોની સાથે ક્યારેય વાત કરી નથી, મારી પાસે તેમનો નંબર પણ નથી, તે કરોડો રૂપિયા કમાય છે, પછી તે સ્પોટ ફિક્સિંગ શા માટે કરે?
સ્પોટ ફિક્સિંગમાં વિંદુની ધરપકડ બાદ આવેલા નિવેદનો બાદ જ ગુરુનાથ મયપ્પનની પણ પોલીસે પૂછપરછ કરી હતી. મીડિયા ચેનલો દ્વારા આપવામા આવેલા સમાચારોમાં એમપણ કહેવામાં આવ્યું હતું કે, વિંદુએ પોલીસને નિવેદનમાં જણાવ્યું કે સ્પોટ ફિક્સિંગમાં બે સુપર સ્ટાર પણ સામેલ છે. જેમાં એક વિતેલા જમાનાના અને એક હાલના સુપર સ્ટાર છે, પરંતુ વિંદુએ આ તમામ વાતોનું ખંડન કર્યું છે અને કહ્યું છે કે, ક્રિકેટ જોવા અંગે મારી માતા મને ના પાડી રહી હતી, પરંતુ મે તેમની વાત માની નહીં, હવે હું જીવનમાં ક્યારેય ક્રિકેટ નહીં જોઉં. હું પોલીસ હિરાસતમાં હતો, મે આ વાત બુકીઓને પણ કહીં હતી પરંતુ તે માન્યા નહીં, પરંતુ હું જે કહું છું તે જરૂર કરું છું.