સમીક્ષકોના મતે ધોનીના કારણે વિશ્વકપની રેસમાંથી બહાર થયું ભારત
સેમીફાઇનલમાં પહોંચવા માટે ભારતને દક્ષિણ આફ્રિકાને ઓછામાં ઓછા 31 રનોથી હરાવવાની જરૂર હતી, પરંતુ તે માત્ર એક રનના અંતરથી જ હરાવી શક્યું, તો બીજી તરફ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં પાકિસ્તાને કાંગારુઓને 31 રનથી પરાજય આપ્યો, જેના કારણે તેની રનરેટ સારી હતી અને તે ભારતને પાછળ રાખીને સેમીફાઇનલમાં પહોંચી ગયું. સેમીફાઇનલમાં ગ્રુપ 1માંથી શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝ જ્યારે ગ્રુપ 2માંથી ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન પહોંચ્યું છે.
મંગળવારે રમાયેલી મેચમાં ભારતની બેટિંગ ઘણી જ ખરાબ રહી, તેને એક મોટો સ્કોર ઉભો કરવાનો હતો, પરંતુ સાત બેટ્સમેન લઇને મેદાન પર ઉતરેલી ટીમ ઇન્ડિયાએ પોતાના ટોચના બેટ્સેમન ઓછા રનના સ્કોર પર ગુમાવી દીધી. બાદમાં રૈના અને ધોનીએ ભારતને 152ના સ્કોર સુધી પહોંચાડ્યું. એક વખત એવું લાગી રહ્યું હતું કે જો બોલિંગમાં ભારત કમાલ કરશે તો સમીકરણ બદલાઇ જશે, પરંતુ અફસોસ તેવું થઇ ના શક્યું.
જોકે ઝહીર ખાને પહેલાં જ બોલમાં વિકેટ લઇને આશાઓ જીવંત રાખી હતી, પરંતુ તેની મહેનત રંગ લાવી નહોતી બોલરોની મદદથી ભારતે જેમતેમ કરીને સાઉથ આફ્રિકાને હરાવી તો દીધું, પરંતુ વિશ્વકપની રેસમાંથી ભારત બહાર થઇ ગયું અને જે લોકો ટીમ ઇન્ડિયાને કપની ટ્રોફી સાથે જોવા માગતા હતા તેમના સ્વપ્ન તૂટી ગયા હતા. ભારત તરફથી લક્ષ્મીપતિ બાલાજી અને ઝહીર ખાને ત્રણ-ત્રણ વિકેટ મેળવી હતી.
ક્રિકેટ સમીક્ષકોના મતઅનુસાર ભારતનું વિશ્વકપમાંથી બહાર થવા પાછળનું સૌથી મોટું કારણ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીની રણનીતિ છે. આ લોકોનું કહેવું છે કે, જ્યારે તેને ખબર હતી કે બેટિંગ ઓર્ડર વિખેરાઇ ગયું છે તો પછી તે ઉપરના ક્રમે બેટિંગ કરવા શા માટે ના આવ્યો? તેમની ખોટી જીદના કારણે મંગળવારે ભારત વિશ્કપની રેસમાંથી બહાર થઇ ગયું છે.
મેચ પર એક નજર નાંખીએ તો ભારતે પ્રથમ બેટિંગ કરીને દક્ષિણ આફ્રિકાને 153 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારત તરફથી રૈનાએ સર્વાધિક 45 રન બનાવ્યા હતા. જ્યારે અન્ય ખેલાડી ગંભીર 8, સહેવાગ 17, કોહલી 2, યુવરાજ 21, રોહિત શર્મા 25 અને ધોનીએ 23 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી મોર્કલ અને પીટરસને બે-બે વિકેટ જ્યારે કાલિસે એક વિકેટ લીધી હતી.
દક્ષિણ આફ્રિકાની શરૂઆત સારી થઇ નહોતી, તેની પ્રથમ વિકેટ શૂન્ય રને અમલાના સ્વરૂપે પડી હતી. ભારતે આપેલા 153 રનના લક્ષ્યાંકને દક્ષિણ આફ્રિકા હાંસલ કરી શક્યું નહોતું અને 151 રન પર ઓલઆઉટ થઇ ગયું હતુ. જેના કારણે ભારતનો એક રનથી વિજય થયો હતો. આફ્રિકા તરફથી પ્લેસિસે સર્વાધિક 65 રન બનાવ્યા હતા. જ્યારે ભારત તરફથી બાલાજી અને ઝહીર ખાને ત્રણ-ત્રણ વિકેટ, યુવરાજે બે જ્યારે અશ્વિન અને પઠાણે એક-એક વિકેટ મેળવી હતી. આ મેચમાં યુવરાજ સિંહને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.