શ્રીસંતને આશા, ટીમ ઇન્ડિયામાં પરત ફરીશ
કોચી, 12 જૂનઃ નિર્દોષ હોવાનો દાવો અને ન્યાયપાલિકામાં વિશ્વાસની આશા વ્યક્ત કરતા ઝડપી બોલર શ્રીસંતે બુધવારે કહ્યું છે કે, રાષ્ટ્રીય ટીમમાં પરત ફરીશ તેવી આશા છે. આઇપીએલ સ્પોટ ફિક્સિંગ પ્રકરણમાં કથિત રીતે સામેલ હોવાના આરોપસર ધરપકડ બાદ શ્રીસંતને જમાનત પર છોડવામાં આવ્યો છે. તિહાર જેલમાં 27 દિવસ વિતાવ્યા બાદ જમાનત પર છૂટ્યા બાદ પોતાના ઘરે પહોંચેલા શ્રીસંતે કહ્યં કે, હું તમને વચન આપું છું કે હું ક્યારેય આશા નહીં છોડુ.
ત્રિપુનિથુરામાં પોતાના માતા પિતા અને સંબંધીઓ સાથે મુલાકાત બાદ શ્રીસંતે કહ્યું કે, મારું સ્વપ્ન ક્રિકેટ રમવાનું છે. હું માત્ર ક્રિકેટ રમવા માંગુ છું અને ટીમમાં પુનરાગમન કરવા માંગુ છું. દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં મારું રમવું સ્વપ્ન છે, પરંતુ હાલ તેને લઇને સુનિશ્ચિત નથી.
દિલ્હીથી અહી પહોંચ્યા બાદ થાકેલો હોવા છતાં શ્રીસંતે કહ્યું કે તે તેના માતા-પિતા પાસે આવીને ખુશ છે અને ટૂંક સમયમાં ટ્રે્નિંગ શરૂ કરશે. એવું પૂછવામાં આવતા કે તેને આ મામલે ફસાવવામાં આવ્યો છે, તો શ્રીસંતે કહ્યું કે, મેં કંઇ ખોટું નથી કર્યું. ધરપકડ ષડયંત્રનો એક હિસ્સો હોઇ શકે છે. ટૂંક સમયમાં બધુ સામે આવી શકશે. મને વિશ્વાસ છે કે બધુ યોગ્ય થઇ જશે.
તિહાર જેલમાં વિતાવેલા દિવસો અંગે શ્રીસંતે કંઇ બોલવાનો ઇન્કાર કરી દીધો. તેણે કહ્યું કે, હું માત્ર એટલું કહીં શકુ છુ કે મને આ ખેલ પ્રત્યે પ્રેમ છે. મે જ્યારથી રમવાનું શરૂ કર્યું, ત્યારથી મે મારું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો. તમને મારા પર વિશ્વાસ હોવો જોઇએ. હુ ન્યાયપાલિકા પર પૂરો વિશ્વાસ રાખું છું. હું બધુ સોલ્વ થઇ જાય તેની રાહ જોઇ રહ્યો છું. નિશ્ચિત રીતે હું સંપૂર્ણ જણાવવા માંગુ છુ.
શ્રીસંતે કહ્યું કે તેને ક્રિકેટ જગતથી પૂર્ણ સમર્થન હાંસલ છે. બધા મને સંદેશ મોકલી રહ્યાં છે. તેમને ધન્યવાદ રાજસ્થાન રોયલ્સ, બીસીસીઆઇ, મારો પરિવાર, મિત્ર, પ્રશંસકો, મીડિયા તમામને ધન્યવાદ. કોઇની વિરુદ્ધ મને ફરિયાદ નથી. બધા પોતાનું કામ કરી રહ્યાં છે. શ્રીસંતની જમાનત વિરુદ્ધ અપીલ દાખલ કરનાર દિલ્હી પોલીસની યોજના અંગે પૂછવામાં આવતા શ્રીસંતે જવાબ આપવાનું ટાળ્યું હતું.
પરિવાર સાથે શ્રીસંત
જામીન પર છૂટ્યા બાદ પરિવાર સાથે શ્રીસંત.
માતા-પિતા સાથે
જામીન પર છૂટ્યા બાદ શ્રીસંતે પોતાના માતા-પિતા સાથે અમુક સમય ગાળ્યો હતો. તેના ચહેરા પર થાક અને ઘરે પરત ફર્યાની ખુશી જણાઇ રહી હતી.
એરપોર્ટ પર સંવાદ
શ્રીંસત જ્યારે કોચીના એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે જ તેની સાથે સંવાદ કરવામાં આવ્યો હતો.
કોચીના એરપોર્ટ પર
જામીન પર છૂટ્યા બાદ કોચીમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચેલો શ્રીસંત.
મીડિયા સમક્ષ આવેલો શ્રીસંત
આઈપીએલ સ્પોટ ફિક્સિંગ કેસમા જામીન પર છૂટ્યા બાદ મીડિયા સમક્ષ આવેલો શ્રીસંત