વર્ષો બાદ પોતાને કેપ્ટન બનાવવા મુદ્દે કપિલ દેવે ખુલાસો કર્યો!
ક્રિકેટમાં ભારતને પહેલો વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન કપિલ દેવે પોતાના દિવસોને યાદ કર્યા અને પોતાની કેપ્ટનશિપનો અનુભવ શેર કર્યો છે.
નવી દિલ્હી : ક્રિકેટમાં ભારતને પહેલો વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન કપિલ દેવે પોતાના દિવસોને યાદ કર્યા અને પોતાની કેપ્ટનશિપનો અનુભવ શેર કર્યો છે. જેમાં તેમને સમજાવ્યું કે કેવી રીતે તેની ટીમ અને તેના સાથી ખેલાડીઓએ તેને સફળ કેપ્ટન બનવામાં ફાળો આપ્યો. કપિલ દેવે CRED ની તાજેતરની શ્રેણી ધ લોંગ ગેમ દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો. આહીં ક્રિકેટરો તેમના જીવન, કારકિર્દી અને તેમાંથી શીખેલા પાઠ વિશે વાત કરે છે. પોતાની શાનદાર કારકિર્દી વિશે વાત કરતા કપિલ દેવે એ સમયને યાદ કર્યો, જ્યારે 1984 માં ઈડન ગાર્ડન્સ ખાતે એક મેચમાં લાપરવાહ રીતે રમ્યા બાદ તેને ટીમની કેપ્ટનશિપમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા.
કપિલે કહ્યું કે, જ્યારે બોર્ડે મને કેપ્ટન બનાવ્યો ત્યારે મને લાગ્યું કે હું તેને લાયક નથી અને જ્યારે તેઓએ મને ટીમની કેપ્ટનશીપમાંથી હટાવી દીધો ત્યારે મેં મારી જાતને કહ્યું કે કદાચ મેં કંઈ સારું કર્યું નથી. જો કે આ સમય દરમિયાન હું એક વાત સમજી ગયો કે જ્યારે તમને જીત મળે છે ત્યારે તે ક્યારેય 'હું જીત્યો' નથી હોતું, પરંતુ જ્યારે તમને હાર મળે છે ત્યારે તેની જવાબદારી સંભાળવાની જવાબદારી કેપ્ટનની હોય છે.
આગળ વાત કરતા કપિલ દેવે કહ્યું કે એક કેપ્ટન તરીકે તમારા માટે સૌથી મહત્વની બાબત એ છે કે ટીમ પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા. ટીમમાં ઘણી વખત પ્રતિભાશાળી ખેલાડીઓ તમને નિરાશ કરી શકે છે પરંતુ ટીમ માટે સમર્પિત ખેલાડી તમને ક્યારેય નિરાશ નહીં કરે.
નોંધનીય છે કે કપિલ દેવે માત્ર 23 વર્ષની ઉંમરે ભારતીય ટીમની કમાન સંભાળી હતી અને આગલા વર્ષે જ દેશ માટે વર્લ્ડ કપ જીત્યો હતો. પોતાની કારકિર્દીના તે સુવર્ણ સમયગાળાને યાદ કરતા તેણે કહ્યું કે તે સમયે હું ખૂબ જ નાનો હતો અને તે સમયે કેપ્ટનશિપમાં મારા સિનિયરોએ મારા કરતા વધારે યોગદાન આપ્યું હતું.
તેમને કહ્યું કે, હું તે સમયે ખૂબ જ નાનો હતો અને ટીમમાં મારી સાથે ઘણા વરિષ્ઠ ખેલાડીઓ હતા, જે ખૂબ પ્રતિભાશાળી પણ હતા. મારું કામ માત્ર તેમને સાથે લઈ જવાનું હતું. હું સુનીલ ગાવસ્કર, મોહિન્દર અમરનાથ, મદન લાલ અને સૈયદ કિરમાણી જેવા દિગ્ગજોને તેમનું કામ કરવાનું શીખવી શકુ નહીં. મારું કામ એ બધાને સાથે લઈ જવાનું હતું.
આગળ વાત કરતા કપિલ દેવે કહ્યું કે, મેં હંમેશા એક વાત કહી છે કે જ્યારે તમે મેદાન પર આવો છો ત્યારે તમારાથી વધુ સારૂ કોઈ નથી. મેદાનમાં જતા પહેલા અને મેદાન છોડ્યા પછી તમે તમારા વિરોધીઓનું કેટલું સન્માન કરો છો તે મહત્વનું નથી, પરંતુ જ્યારે તમે મેચ દરમિયાન રમી રહ્યા હોવ ત્યારે મેદાન પર તમારા કરતા વધુ સારું કોઈ નથી.
આ દરમિયાન કપિલ દેવે ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરની પ્રશંસા કરી અને કહ્યું કે રમત પ્રત્યેનું તેનું સમર્પણ અને કેપ્ટનશિપનો અનુભવે તેમને ઘણું શીખવ્યું છે, જે હજુ પણ કોઈપણ યુવાન ખેલાડીની સફળતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ગાવસ્કર સાથેની તેની તસવીર જોઈને કપિલ દેવે કહ્યું કે, સુનીલ ગાવસ્કર ખેલ માટે એટલા સમર્પિત હતા કે તેને જોઈને પ્રેરણા મળતી હતી. કેટલીકવાર તમે તમારા ખેલાડીઓ પાસેથી ઘણું શીખી શકો છો. તેણે એક વખત મને કહ્યું હતું કે તમે એક ઓવરમાં સદી ફટકારી શકતા નથી, તેથી તમારે હંમેશા ત્યાં પહોંચવા માટે નાના લક્ષ્યો બનાવવા જોઈએ. પહેલા તમારે 15 રન, 40 રન, 60 રન, 80 રનનું લક્ષ્ય રાખવું જોઈએ અને જેમ તમે દરેક લક્ષ્ય પૂર્ણ કરો ત્યારે તેને સદીમાં ફેરવો. તમારે સીધી સદી ફટકારવા માટે તમારા પર દબાણ ન બનાવવું જોઈએ.