શું, ભારતના આ સ્થળોની મુલાકાત લેવાની છે હિંમત?
જો તમે એવું વિચારતા હોવ કે કોઇપણ સ્થળ હોય તેની મુલાકાત લેવાનું ડેરિંગ તમારામાં છે, તો આ આર્ટિકલ કદાચ તમને ખાટો સાબિત કરી શકે છે. ભારતમાં એવા અનેક સ્થળો છે કે જે તેમની સાથે જોડાયેલી વિચિત્ર અને બિહામણી કહાનીઓના કારણે તમારામાં ઉત્સુકતા અને ભય જે તે સમયે પેદા કરી શકે છે. રાજસ્થાનનું કુલધારા હોય કે પછી મેઘાલયની ગુફાઓ દરેક સ્થળે આપણને ભયભીત કરી મુકે તેવી કહાણીઓ જોડાયેલી છે.
આજે અમે અહીં આ લેખ થકી તમને એવા જ કેટલાક ભારતીય સ્થળો અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ કે જેની મુલાકાત લેવા માટે કલેજું જોઇએ અને ઢીલા પોચા હૃદયવાળા લોકો આ સ્થળોની એકલા હાથે મુલાકાત કરી શકે તેમ નથી. તો ચાલો તસવીરો થકી ભારતમાં આવેલા આવા જ કેટલાક સ્થળો અંગે માહિતી મેળવીએ.
કુલધારા- વેરાન ગામ
કુલધારા ગામ રાજસ્થાનના જેસલમેર પાસે આવેલું છે. એક સમય હતો જ્યારે આ ગામમાં લોકોની ચહલ પહલ રહેતી હતી, પરંતુ એક ક્રૂર શાસકની ગંદી નજર અને બ્રહ્મણોએ આપેલા શાપ બાદ આ ગામ વેરાન બની ગયું છે. આજે પણ અહીં કોઇ રાત્રીના સમયે રોકાવાની હિંમત કરતું નથી.
ભૂત નથી છતાં ભયાવહ!
અનેક સ્થળો એવા હોય છે કે જે આપણને તેના અંધકાર અને રહસ્યમયી શાંતિના કારણે ડરાવી મુકે છે. મેઘાલયમાં એવી અનેક ગુફાઓ આવેલી છે કે, જે તમારા શરીરમાં કંપારી લાવી દે છે. જો તમે ખરેખર ભયનો સામનો કરવા માગતા હોવ તો તમારે ખાસી હિલ્સમાં આવેલી ગુફાઓની મુલાકાત લેવી જોઇએ.
અહીં થીજી જશે લોહી!
લદાખમાં આવેલા ઝાન્સ્કાર લેક અંગે એવું કહેવાય છે કે આ એક એવું સ્થળ છે જ્યાં લોહીં થીજી જાય છે. તેમ છતાં કેટલાક સાહસિક પ્રવાસીઓ આ સ્થળોની મુલાકાત લેવાનું સાહસ દાખવે છે.
શું હાડપિંજર તમને ડરાવે છે?
જો તમે વિચારો કે તમારી આસપાસ હાડપિંજર છે તો આ વિચાર માત્ર પણ ડરાવવા માટે પુરતો છે. તો પછી વિચારો કે એવુ તળાવ હોય, જ્યાં માત્ર હાડપિંજર જ હોય તો? ઉત્તરાખંડમાં આવું જ એક રહસ્યમયી તળાવ આવેલું છે, રુપકુંડ નામના તળાવ અંગે કહેવાય છે કે તેમાંથી હાડપિંજરો મળી આવે છે.
બારેમાસ સળગતી લાશો!
વારાણસીમાં આવેલું મણિકર્ણિકા ઘાટ હિન્દુ અગ્નિસંસ્કાર માટે ઘણું જ જાણીતું છે. આ સ્થળે દરરોજ હજારોની સંખ્યામાં હિન્દુઓનું અગ્નિસંસ્કાર કરવામાં આવે છે.