1055ના ટેકાના ભાવે સરકાર મગફળી ખરીદશે, 1 ઑક્ટોબરથી રજિસ્ટ્રેશન શરૂ થશે
1055ના ટેકાના ભાવે સરકાર મગફળી ખરીદશે, 1 ઑક્ટોબરથી રજિસ્ટ્રેશન શરૂ થશે
ગુજરાતના ખેડૂતોને ચારો તરફથી પડી રહેલા મારની વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. ગુજરાત રાજ્ય સરકારે મગફળી ટેકાના ભાવે ખરીદવાની ઘોષણા કરી દીધી છે. સરકારે 1055 રૂપિયા પ્રતિ મણના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય લીધો છે. સરકારે મગફળી ખરીદવાની તૈયારી શરૂ કરી દીધી છે. નાફેડની દેખરેખ હેઠળ મગફળીની ખરીદી કરવામાં આવશે.
આગામી 1 ઓક્ટોબરથી મગફળીના રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા શરૂ થઈ જશે, અને 20 ઓક્ટોબર સુધી મગફળીનું રજિસ્ટ્રેશન કરી શકાશે. સરકારે જણાવ્યા મુજબ આગામી 21 ઓક્ટોબરથી જ મગફળી ટેકાના ભાવે ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. વધુ એકે જાહેરાત કરતા સરકારે જણાવ્યું કે હવે, સરકાર કઠોળ પાકોને પણ ટેકાના ભાવે ખરીદશે.
તો બીજી તરફ સરકારે એમ પણ કહ્યું કે સંભવિત 13 લાખ હેક્ટરમાં પાકનું નુકસાન થયું છે, 3 લાખ હેક્ટરમાં સર્વેનું કામ થઈ ચૂક્યું છે અને સર્વેનું કામ હજી લંબાઈ શકે છે. બીજી તરફ પાંદડા જોઈ સર્વે હાથ ધરવાની ચર્ચાઈ રહેલી થિયરીને લઈને પણ ખેડૂતો ચિંતિત છે. ખેડૂતોમાં એવી પણ ફરિયાદ છે કે સર્વે કરવા જતા અધિકારીઓ માત્ર લીલાં પાંદડા જોઈને ચાલ્યા જાય છે, છોડવો ઉપાડી તેમાં કેટલું નુકસાન છે તે જોવાની તસ્દી પણ નથી લેતા.
ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયાએ કહ્યું કે, સર્વેનું કામ કરવામાં અધિકારીઓને 60 દિવસનો સમય લાગશે ત્યારે સર્વે થાય ત્યાં સુધી ખેડૂતો પોતાનો પાક વધુ 45 દિવસ ખેતરમાં જ સાચવી રાખવા મજબૂર થશે. સરકારે જાહેર કર્યા મુજબ 33 ટકા નુકસાન હશે તેને જ પાક વીમો મળશે અને જેને પાક વીમો મળે તે યાર્ડમાં મગફળી નહિ વેચી શકે ત્યારે કોઈ ખેડૂતને 10 હેક્ટરમાંથી 3 હેક્ટરમાં નુકસાન હોય તો શું બાકીના 7 હેક્ટરની મગફળી યાર્ડમાં વેચવી નહિ?
વધુમાં પાલભાઈ આંબલિયાએ કહ્યું કે, કેટલાય એવા વિસ્તારો છે જ્યાં 250થી 300 ટકા વરસાદ થયો છે ત્યારે આવા વિસ્તારોમાં સરકારે શા માટે સર્વે કરવો જોઈએ? સરકારે આવા વિસ્તારોમાં લીલો દુષ્કાળ જાહેર કરી એક પેકેજ જાહેર કરી દેવું જોઈએ.
14 સપ્ટેમ્બરે ગુજરાતમાં કોરોનાના 1334 નવા કેસ નોંધાયા