મકર સંક્રાંતિએ શા માટે થાય છે તલનું દાન અને કેમ ખવાય છે ખીચડી?
ઉત્તરાયણએ એવો તહેવાર છે કે જેનો આધાર સૂર્યની ગતિ પર રહેલો છે. પોષ માસમાં જ્યારે સૂર્ય ધન રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરે છે તે કાળને સંક્રાંતિ કાળ કહે છે.
ઉત્તરાયણએ એવો તહેવાર છે કે જેનો આધાર સૂર્યની ગતિ પર રહેલો છે. પોષ માસમાં જ્યારે સૂર્ય ધન રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરે છે તે કાળને સંક્રાંતિ કાળ કહે છે. શનિદેવ મકર રાશિના સ્વામી છે અને જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તો તેને મકર સંક્રાંતિના નામે ઓળખવામાં આવે છે. આ વર્ષે 14 જાન્યુઆરી 2018ને રવિવારે ઉત્તરાયણ ઉજવાશે. માન્યતા છે કે આ દિવસે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થવાથી તમામ શુભ કામોની શરૂઆત થઈ જાય છે. જેવા કે લગ્ન, બાબરી, ગ્રહ પ્રવેશ વગેરે...
દાન-પુણ્યનું મહાત્મય
આ દિવસે જપ, તપ, દાન, સ્નાન, શ્રાદ્ધ, તર્પણ વગેરે ધાર્મિક કાર્યોનું ખાસ મહત્વ છે. એવી ધારણા છે કે, આ દિવસે કરેલું દાન સો ગણું વધીને પુનઃપ્રાપ્ત થાય છે. આ દિવસે શુદ્ધ ઘી અને ધાબળાનું દાન મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. તેવી જ રીતે આ દિવસે ખાસ તલનું દાન પણ કરવામાં આવે છે.
તલનું દાન સૌથી શુભ
કહેવાય છે કે સંક્રાંતિ માટે તલનું દાન સૌથી શુભ મનાય છે, કારણ કે એવી માન્યતા છે કે તલ શનિનું દ્રવ્ય છે, તલ દ્વારા વ્યક્તિ પોતાના પૂર્વ જન્મોમાં કરેલા પાપોની માફી માંગે છે, આ કારણે જે લોકો આ દિવસે કાળા અને સફેદ તલનું દાન કરે છે તે પોતાના પાપોમાંથી મુક્તિ મેળવે છે.
આર્થિક સ્થિતિમાં સુધારો
તલના લાડુનું દાન કરવાથી આર્થિક સ્થિતિ સુધરે છે, લોકો નિરોગી બને છે અને તેમને માનસિક શાંતિ મળે છે. બને તો સંક્રાંતિના દિવસે વહેતા જળમાં તલ અને ગોળનો પ્રવાહ કરો, તેનાથી તમારા તમામ દુઃખોનો અંત આવે છે.
ઉત્તરાયણ અને ખીચડીનો સંબંધ
ઉત્તર પ્રદેશમાં મકર સંક્રાંતિના દિવસે ભોજન રૂપે ખીચડી ખાવાની પરંપરા છે. યુપીમાં ચોખાનું ઉત્પાદન મબલખ થાય છે. મકર સંક્રાંતિને નવાવર્ષના રૂપે ઉજવવામાં આવે છે. જેથી આ દિવસે નવા ચોખા દ્વારા નવા વર્ષનું સ્વાગત કરવામાં આવે છે. તેની સાથે જ ત્યાં આ દિવસે બ્રાહ્મણોને ચોખાનું દાન કરવાની પરંપરા છે. જેથી ખેતીમાં આખુ વર્ષ ફુલ્યું-ફાલ્યું રહે અને લોકોના ઘરમાં આખુ વર્ષ ધન-ધાન્યની કોઈ કમી ન રહે.
મંત્ર જાપ
દાન કરતી વખતે નિમ્નલિખિત મંત્રોનો જાપ કરવો જોઈએ.
माघे मासे महादेव: यो दास्यति घृतकम्बलम,
स भुक्त्वा सकलान भोगान अन्ते मोक्षं प्राप्यति॥