તમને આકર્ષક અને સફળ બનાવશે કેસરનું એક તિલક!
કેસરનું તિલક રોજ લગાવવાથી આજ્ઞા ચક્ર જાગ્રત થાય છે અને વ્યક્તિને જ્ઞાન, આકર્ષણ, પ્રભાવ અને ઉર્જા પ્રદાન કરે છે.
હિંદુ સંસ્કૃતિમાં તિલકનું આગવું સ્થાન છે. કોઈ પણ પૂજા કે ધાર્મિક અનુષ્ઠાન તિલક વિના અધૂરું છે. તિલક મંગળ અને શુભતાનું પ્રતિક છે. પરિણામે જ્યારે કોઈ વ્યક્તિ સારા કામ માટે બહાર જાય છે ત્યારે માથા પર તિલક કરવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે તમે તિલકથી કિસ્મતના દરવાજા ખોલી શકો છો. શાસ્ત્રોમાં તિલક વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. અલગ અલગ કામના માટે અલગ અલગ પદાર્થોના તિલક કરવામાં આવે છે. ચંદન, અષ્ટગંધ, કુમ કુમ, કેસર જેવા પદાર્થોના તિલક કરવાથી કાર્ય સિધ્ધિ થાય છે. ઉપરાંત તિલક દ્વારા ગ્રહોના દુષ્પ્રભાવમાંથી પણ મુક્તિ મેળવી શકાય છે.
સૌથી ચમત્કારી અને તેજ પ્રભાવી તિલક એટલે કેસર
આમ તો તિલક કપાળ, ગળા, ભુજાઓ, હદય અને નાભિ પર લગાવવામાં આવે છે, પણ તેનું મુખ્ય સ્થાન કપાળ છે. આ સ્થાને સાત ચક્રોમાંનું એક આજ્ઞા ચક્ર હોય છે. દરરોજ તિલક લગાવવાથી આ ચક્ર જાગ્રત થાય છે અને વ્યક્તિને જ્ઞાન, સમયથી પર જોવાની શક્તિ, આકર્ષણ અને ઉર્જા પ્રદાન થાય છે. કપાળ પર અલગ અલગ તિલક લગાવવાના અલગ અલગ લાભ થાય છે. આ બધામાં સૌથી વધુ ચમત્કારી અને તેજ પ્રભાવ આપનાર પદાર્થ છે કેસર. કેસરનું તિલક કરવાથી દરેક કામનાની પૂર્તિ થાય છે.
સફળતા, આકર્ષક વ્યક્તિત્વ, ધન, આરોગ્ય
જે વ્યક્તિને જીવનમાં સફળતા, આકર્ષક વ્યક્તિત્વ, સૌદર્ય, ધન, આરોગ્ય, લાંબુ આયુષ્ય જોઈએ છે. તેમણે નિયમિત કપાળ પર કેસરનું તિલક કરવું જોઈએ. કેસરનું તિલક શિવ, વિષ્ણુ, ગણપતિ અને લક્ષ્મીને પ્રસન્ન કરે છે. શિવથી સાહસ, શાંતિ, લાંબુ આયુષ્ય અને લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય છે. ગણપતિથી જ્ઞાન, લક્ષ્મીથી ધન, વૈભવ, આકર્ષણ અને વિષ્ણુથી ભૌતિક પદાર્થોની પ્રાપ્તિ થાય છે. અનેક દેવી દેવોના યંત્રોનું નિર્માણ કરવા માટે કેસરની સ્યાહીનો ઉપયોગ કરવામાં આવે છે. કેસર શુધ્ધિ, પવિત્ર અને પ્રાકૃતિક સુંગધથી ભરપૂર હોય છે. તેમાં એક દિવ્ય શક્તિ હોય છે. જેનાથી દેવ-દવીઓને સરળતાથી પ્રસન્ન કરી શકાય છે.
ચંદ્રને મજબૂત કરવા અને દાપત્યજીવન સુખમય બનાવવા
જે લોકોનું દાંપત્યજીવન કલેશભર્યુ હોય તેમણે કેસર મિશ્રિત દૂઘથી શિવનો અભિષેક કરવો જોઈએ. સાથે જ પોતાના કપાળ, ગળા અને નાભિ પર કેરસનું તિલક કરવું. નિયમિત ત્રણ મહિના સુધી આ પ્રયોગ કરવામાં આવે તો દાંપત્યજીવન પ્રેમથી ભરાઈ જાય છે. જન્મકુંડળીમાં જો ચંદ્ર કમજોર છે તો ચાંદીની ડબ્બીમાં કેસરની સાથે રાખવાથી ચંદ્રના દુષ્પ્રભાવથી બચી શકાય છે.
માંગલિક દોષ અને શુક્ર ગ્રહની પિડામાંથી મુક્તિ મેળવવા
જેમની કુંડળીમાં માગલિક દોષ હોય તેમણે હનુમાનજીને લાલ ચંદન અને કેસર મિશ્રિત તિલક લગાવવું જોઈએ. જે સ્ત્રીઓને શુક્ર ગ્રહ સાથે જોડાયેલી સમસ્યાઓ છે, પતિ સાથે અનબન, કુટુંબના ઝગડા, માન-સન્માન નથી તેવી સ્ત્રીઓ અથવા કન્યાઓ એ મેકઅપ કિટની સાથે કેસર દાન કરવું.
લક્ષ્મીને ખુશ કરવા અને આર્થિક તંગીમાંથી છૂટકારો મેળવવા
ઘરમાં આર્થિક તંગી રહેતી હોય, પૈસા બચતા ન હોય તો નવરાત્રી કે કોઈ શુભ દિવસે સાત સફેદ કોડિઓને કેસરથી રંગી તેમને લાલ કપડામાં બાંધો અને શ્રીસુક્તના સાત વખત પાઠ કરો. હવે આ પોટલીને તિજોરીમાં રાખો, ધનનું આવાગમન થવા લાગશે. તમારા વેપાર કે કામકાજ સાથે જોડાયેલા દસ્તાવેજો જેવા કે વહીખાતા, તિજોરી જેવી જગ્યાઓ એ કેસરનો છંટકાવ કરવાથી વેપારમાં વધારો થાય છે. માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે એક સફેદ કપડાને કેસરની સ્યાહીથી રંગો. હવે આ કપડાને તમારી તિજોરી કે દુકાનના ગલ્લામાં પાથરો અને પૈસા આ જ કપડામાં રાખો. આ સ્થાન પવિત્ર રહે તેનું ધ્યાન રાખો. આમ કરવાથી લક્ષ્મી પ્રસન્ન રહે છે અને આવક સારી થાય છે.
પિતૃદોષ શાંત કરવા અને આકર્ષણ શક્તિ પેદા કરવા
ચતુર્દશી અને અમાસના દિવસે ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશા એટલે કે નેઋત્ય કોણમાં કેસર ની ધૂપ દેવાથી પિતૃ પ્રસન્ન થાય છે. તેનાથી પિતૃદોષ શાંત થાય છે અને વ્યક્તિના જીવનમાં ઉન્નતિ થાય છે. કેસરમાં જબરજસ્ત આકર્ષણ હોય છે. નિયમિત કેસરનું તિલક કરવાથી વ્યક્તિમાં આકર્ષણ પ્રભાવ પેદા થાય છે અને દરેક વ્યક્તિને સમ્મોહિત કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે.
{promotion-urls}