સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 2017ના ગ્રાન્ડ ફિનાલેમાં PM કરશે સંબોધન
અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 2017ના સંશોધનકારોને વીડિયો કોન્ફર્ન્સથી સંબોધિત કરશે. જાણો આ અંગે વધુ અહીં.
અમદાવાદ ખાતે 1 એપ્રિલ, 2017થી અવકાશ વિભાગના સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 2017ના ગ્રાન્ડ ફિનાલેની શરૂઆત થશે. આ ફિનાલેના વિજેતાને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ISRO) તરફથી ઇનામ આપવામાં આવશે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોનફરન્સ દ્વારા સંશોધનકારોને સંબોધિત કરશે. ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ.હિંમાશુ પંડ્યાએ આ અંગે જણાવ્યું હતું કે, 'આ ફિનાલેમાં ભાગ લેનારા હરીફોસાથે ટુ વે વીડિયો કોન્ફરસિંગ કરવા માટે પીએમ મોદીએ અમદાવાદ કેન્દ્રની પસંદગી કરી છે.' એચઆરડી(હ્મુમન રિસોર્સ ડેવલપમેન્ટ) મંત્રાલય તથા ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન(AICTE) દ્વારા સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 2017ની સ્પર્ધા પ્રમોટ કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને નિપુણતાનું જતન થાય, 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા' અભિયાનને પ્રોત્સાહન મળે, શાસન અને જીવનની ગુણવત્તામાં સુધારો આવે તથા નાગરિકોને ભારતના સળગતા પ્રશ્નોના નવતર ઉકેલ શોધવાની તક મળી રહે, તે આ સ્પર્ધાનો હેતુ છે. આ વખતની હેકેથોન સ્પર્ધા અવકાશ વિભાગ તથા ઇસરો ને સમર્પિત છે, જેથી અહીં વિદ્યાર્થીઓ સ્પેસ ટેક્નોલોજીને લગતા વિવિધ ઉકેલો અને વિકલ્પો રજૂ કરી શકે. આ ગ્રાન્ડ ફિનાલેમાં લગભગ 500 જેટલા યુવાઓ દેશ ઉપયોગી વસ્તુઓના નિર્માણ માટે સતત 36 કલાક કામ કરશે. આ એક કોમ્પ્યૂટર પ્રોગ્રામિંગ સ્પર્ધા હશે, જેમાં ભારતના જુદા-જુદા 13 રાજ્યોના યુવાઓ ભાગ લેશે. ગુજરાત, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, કેરળ, મધ્ય પ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, દિલ્હી, કર્ણાટક, ઝારખંડ, પંજાબ, તેલંગણા અને રાજસ્થાનના યુવાઓ આ સ્પર્ધામાં ભાગ લેનાર છે. ગ્રાન્ડ ફિનાલેના સ્પર્ધકો માટે કુલ 75 ટેબલો ગોઠવવામાં આવ્યા છે, દરેક ટેબલ પર 6 વિદ્યાર્થીઓ તથા 2 માર્ગદર્શકો કામ કરશે.
ઇસરોએ આ સ્પર્ધા માટે રૂ.1 લાખનું પ્રથમ ઇનામ જાહેર કર્યું છે, બીજું ઇનામ રૂ.75,000 તથા ત્રીજું ઇનામ રૂ.50,000 નું છે. આ સાથે રૂ.10,000નું આશ્વાસન ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. ઇસરોના ડૉ.હરેશ ભટ્ટે આ અંગે વાત કરતાં જણાવ્યું કે, 'વિદ્યાર્થીઓની કામગીરી ચકાસવા તથા વિજેતાઓની પસંદગી માટે કુલ 25 સભ્યોની ટીમ હાજર રહેશે, જેમાંથી 15 રાષ્ટ્રીય જૂરી સભ્યો તથા ઇસરોના વરિષ્ઠ વૈજ્ઞાનિકો છે. ભારતમાં હેકેથોન સ્પર્ધા નવી છે, આથી AICTE દ્વારા ભારતભરમાં 26 અવેરનેસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી વિદ્યાર્થીઓને સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન સ્પર્ધા અંગે જરૂરી જાણકારી મળી રહે.
ગુજરાતમાં સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ પોલિસીની રચનામાં મહત્વનો ભાગ ભજવનાર હિરણમય મહંત તથા રાહુલ ભાગચંદાનીએ વર્કશોપ અંગે વાત કરતાં કહ્યું કે, આ વર્કશોપ દ્વારા વિદ્યાર્થીઓને દેશના પ્રશ્નો અને મુસીબતો અંગેની જાણકારી મળે છે. ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા આ કાર્યક્રમનું ઉદઘાટન કરશે, જ્યારે રાજ્યના શિક્ષણ પ્રધાન જયદ્રાથસિંહ પરમાર વિદાય કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે. જીટીયુના વાઇસ ચાન્સેલર પ્રો.નવીન શેઠે જણાવ્યું કે, આ કાર્યક્રમ માટે ગુજરાત યુનિવર્સિટી તથા ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી(જીટીયુ) સાથે મળીને કામ કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
