ચાર્લી એબ્દો કવર પેજ પર મોહમ્મદ પૈગંબરના કાર્ટૂન સાથે કરશે કમબેક!
પેરિસ, 13 જાન્યુઆરી : મોહમ્મદ પૈગંબરના વાંધાજનક કાર્ટૂન્સ છાપવાને કારણે આતંકવાદી હુમલાનો શિકાર બનેલા ફ્રેન્ચ મેગેઝિન ચાર્લી એબ્દોએ કોઇ પ્રકારની બીક રાખ્ય વિના બદાહુરીથી પાછા ફરવાનો નિર્ણય લીધો છે. હુમલા બાદ બુધવારે પ્રકાશિત થઇ રહેલી નવી એડિશનમાં ફરી એકવાર પૈગંબરના કાર્ટૂન છાપીને તેઓ કમબેક કરવાના છે.
શાર્લી એબ્દો મેગેઝિનના વકીલે સોમવારે આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે આવનારી એડિશનમાં પૈગંબર મોહમ્મદના રેખાચિત્રો અને કાર્ટૂન ફરીથી મોટા પાયે છાપવામાં આવશે. મેગેઝિનના કોલમનિસ્ટ પેટ્રિક પેલક્સે જણાવ્યું છે કે આ અંક બુધવારે માર્કેટમાં ઉપલબ્ધ બનશે. મહત્વની બાબત એ છે કે આ મેગેઝિનને બુધવારે વિશ્વની 16 ભાષાઓમાં રજૂ કરવામાં આવશે.
મેગેઝિનના વકીલ રિચર્ડ મલ્કાએ ફ્રેન્ચ રેડિયો સાથેની વાતચીતમાં જણાવ્યું કે આવનારી એડિશનમાં અન્ય વિષયોની સાથે મોહમ્મદ પૈગંબર પર પણ વ્યંગ કરવામાં આવશે.આમ કરવા સાથે મેગેઝિનનો સ્ટાફ એ કહેવા માંગે છે કે ચરમપંથીઓ તેમને ચૂપ કરી શકશે નહીં.
નોંધનીય છે કે ગયા બુધવારે એટલે કે 7 જાન્યુઆરી, 2015ના રોજ ફ્રાન્સના સૌથી વધુ લોકપ્રિય વ્યંગાત્મક મેગેઝિન ચાર્લી એબ્દોની ઓફિસ પર બે વ્યક્તિઓએ હુમલો કરીને તેને ટોપ કાર્ટૂનિસ્ટની હત્યા કરી હતી. આતંકવાદીઓએ જણાવ્યું હતું કે તેઓ આ હુમલો મોહમ્મદ પૈગંબરના વાંધાજનક કાર્ટૂન છાપવાને કારણે કરી રહ્યા છે. આ પહેલા વર્ષ 2011માં પણ મેગેઝિનના કાર્યાલયમાં આગ લગાવી દેવામાં આવી હતી.