કિંગફિશર એરલાઇન્સનું નુકસાન વધીને 2142 કરોડ થયું
લિકર કિંગ વિજય માલ્યાની માલિકીની કિંગફિશર એરલાઈન્સની સેવા ગયા ઓક્ટોબર બાદથી બંધ રહી છે. કિંગફિશર એરલાઈન્સની સેવા ક્યારેય ફરી શરૂ થશે તેને લઈને હજુ સસ્પેન્સની સ્થિતિ છે. કારણ કે રેગ્યુલેટરી મંજૂરી તેને મળી રહી નથી. કિંગફિશરે એરલાઈન્સ પુન શરૂ કરવાના પ્રયાસ રૂપે સેક્ટર રેગ્યુલેટર સમક્ષ બે વખત તેની પુન સજીવન યોજના રજૂ કરી છે પરંતુ રેગ્યુલેટરે હજુ મંજૂરી આપી નથી.
કિંગફિશર એરલાઈન્સને 2142 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે. એક વખતે ભારતની નંબર 2 કરિયર તરીકે રહેલી કિંગફિશર એરલાઈન્સને નેટ નુકસાન વધીને માર્ચમાં પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં વધીને 2142 કરોડ ઉપર પહોંચી ગયું હતું જે એક વર્ષ અગાઉ 1150 કરોડની સરખામણીમાં લગભગ બમણું છે. વિજય માલ્યાની માલિકીની આ કંપની ઉપર બેંકો, એરપોર્ટ અને અન્યોનું કુલ રૂપિયા 14000 કરોડનું દેવું છે. તેના ફ્લાઈંગ લાઈસન્સ પણ ગયા વર્ષના અંત સુધી રદ કરી દેવામાં આવ્યા હતા.
કિંગફિશર એરલાઈન્સે સેક્ટર રેગ્યુલેટર સમક્ષ યોજના રજૂ કરી હોવા છતાં સેક્ટર રેગ્યુલેટરે આમા કોઈ ઉત્સાહ દર્શાવ્યો નથી. યુબી ગ્રૂપ દ્વારા શરૂઆતમાં ફંડીંગ આપવાની વાત કરવામાં આવી હતી પરંતુ આવી રજૂઆત છતાં કિંગફિશરને ફરી સેવા શરૂ કરવાની મંજૂરી મળી રહી નથી. ઓપરેશનના તેના આઠ વર્ષમાં કિંગફિશરને ક્યારેય પણ નફો થયો નથી.