PAN-Aadhar Link કરવાની છેલ્લી તારીખ આગલા વર્ષ સુધી લંબાવાઇ, પરંતુ મફત સેવા હવે બંધ!
PAN-Aadhar Link કરવાની છેલ્લી તારીખ આગલા વર્ષ સુધી વધી, પરંતુ મફત સેવા હવે બંધ!
જો તમે હજી સુધી તમારાં PAN Cardને Aadhar સાથે લિંક નથી કર્યું તો તમારા માટે આ મહત્વના સમાચાર છે. સરકારે પાન અને આધાર લિંક કરવાની છેલ્લી તારીખ એક વર્ષ સુધી લંબાવી દીધી છે, પરંતુ હવે આ સર્વિસ મફત નહીં મળે.
PAN-Aadhar Link માટે વધુ એક વર્ષ
આવકવેરા વિભાગ માટે નીતિઓ બનાવતું શીર્ષ એકમ સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ પાન કાર્ડ-આધાર લિંક કરાવવાની છેલ્લી તારીખ એક વર્ષ માટે એટલે કે 31 માર્ચ 2023 સુધી લંબાવી દીધી છે.
CBDTએ બુધવારે મોડી સાંજે આ મામલે એક નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે. નોટિફિકેશનમાં લખ્યું છે કે, ટેક્સ પેયર્સની અસુવિધા ઘટાડવા માટે Aadhar અને PAN Card લિંક કરવાની સમય અવધી 31 માર્ચ 2023 સુધી વધારી દેવામાં આવી છે. સરકારે આ ચોથી વખત પાન અને આધાર કાર્ડ લિંક કરવાની તારીખ લંબાવી છે.
પાન કાર્ડ કામ કરતું રહેશે
જે લોકોએ પાન-આધાર હજી સુધી લિંક નથી કર્યાં, તેમનું પાન કાર્ડ કોઈપણ સમસ્યા વિના CBDTની આ નવી વ્યવસ્થા બાદ 31 માર્ચ 2023 સુધી કામ કરતું રહેશે. આવી રીતે IT Return દાખલ કરવાથી લઈ રિફંડ મેળવવા સુધીનો આનો ઉપયોગ પહેલાની જેમજ કરી શકાશે.
મફત સેવા બંધ, હવે આટલા પૈસા લાગશે
અત્યાર સુધી ટેક્સપેયર્સ આધાર કાર્ડને પાન કાર્ડ સાથે મફતમાં લિંક કરી શકતા હતા, તેમની પાસેથી આ કામ માટે કોઈ ચાર્જ વસૂલવામાં આવતો નહોતો. પરંતુ હવે આ 'મફત સેવા' બંધ કરી દેવામાં આવી છે. એવામાં જો કોઈ ટેક્સપેયર્સ 1 એપ્રિલ 2022થી લઈ 30 જૂન 2022 વચ્ચે પોતાનું PAN-Aadhar link કરાવે છે તો તેણે 500 રૂપિયા અને 30 જૂન 2022 પછી લિંક કરાવે છે તો 1000 રૂપિયા ફી ચૂકવવી પડશે.