RBI 1 એપ્રિલની નીતિગત બેઠકમાં વ્યાજદરો યથાવત રાખી શકે
મુંબઇ, 31 માર્ચ : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ પોલિસી રેટ્સ પરનો નિર્ણય સ્થગિત રાખ્યો છે. માનવામાં આવે છે કે આગામી 1 એપ્રિલ, 2014ના રોજ મળનારી આર્થિત નીતિ અંગેની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.
આ બેઠકમાં સીપીઆઇ(કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ફેલશન), ફુગાવો અને જથ્થાબંધ ફુગાવો (વ્હોલસેલ પ્રાઇસ ઇન્ફ્લેશન - ડબલ્યુપીઆઇ) થયેલા સતત ઘટાડાના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આ ચર્ચાને આધારે આગામી સમયમાં દરો વધારવા કે યથાવત રાખવા તે અંગેનો નિર્ણય લેવામાં આવશે.
જથ્થાબંધ ફુગાવાના આંકડા જોઇએ તો જાન્યુઆરીમાં આ ફુગાવો 5.05 ટકા હતો જે ફેબ્રુઆરીમાં ઘટીને 4.68 ટકા થઇ ગયો હતો. આ દર ધારણા કરતા નીચો રહ્યો હતો.
ફેબ્રુઆરીમાં સીપીઆઇ ખાદ્ય ફુગાવો પણ પ્રતિ માસના ધોરણે 8.79 ટકાથી ઘટીને 8.1 ટકા રહ્યો હતો. આમ થવાનું કારણ સરકારે ખાદ્યવસ્તુઓની કિંમતોમાં ઘટાડા અંગે લીધેલા પગલાઓને કારણે ફુગાવામાં થયેલો ઘટાડા છે.
છેલ્લા કેટલાક મહિનાઓની સ્થિતિ જોઇએ તો આરબીઆઇ દ્વારા સીપીઆઇ ફુગાવાને નિયંત્રણમાં લેવા માટે ઘણા પ્રયાસો કર્યા છે. જે લોકો પોલિસી દરોમાં ઘટાડાની આશા રાખી રહ્યા છે તેમના માટે સીપીઆઇ ફુગાવામાં ઘટાડો સારા સમાચાર છે.
પોલિસી દરો નક્કી કરવા માટે આરબીઆઇ 1 એપ્રિલના રોજ બેઠક યોજી રહી છે. આરબીઆઇના ગવર્નર તરીકે રાજને જવાબદારી સ્વીકારી છે ત્યાર પછીથી ત્રણ વાર આરબીઆઇએ દરો વધાર્યા છે. તેમની છેલ્લી નીતિગત બેઠકમાં રાજને સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે ફુગાવો નિયંત્રણમાં રહેશે તો આરબીઆઇ વ્યાજના દરોમાં વધારો કરશે. વર્તમાન સમયમાં રેપો રેટ 8 ટકા છે.
આ બેઠક એટલા માટે પણ મહત્વની છે કે તેમાં આરબીઆઇની ભાવિ નીતિ અને વલણની અણસાર મેળવી શકાશે. આરબીઆઇની ફુગાવા પર બાજનજર યથાવત રહેશે તો તે ભારતના કોર્પોરેટ જગત માટે લાભદાયક ગણાશે નહીં.
જો આરબીઆઇ આવનારા ત્રણ કે છ મહિના માટે દરોમાં વધારો કરશે તો બીએસઇ 500ની કંપનીઓ પર ભારણ 14થી 15 ટકા વધશે એમ ઇન્ડિયા રેટિંગ્સનું માનવું છે.