ચોર દેવો ભવ: સન્મુખલાલનું શાણપણ
"મારા વ્હાલા ચોરો....તમે મારા ઘરે પધારી મારું ઘર પાવન કરશો તેવી મને ચોક્કસ આશા હતી અને તમારામાં બહુ શ્રધ્ધા પણ હતી. કારણ કે વર્ષોથી ચોર દેવો ભવ: ની ભાવના મારા રોમે રોમમાં વણાયેલી છે. વધુમાં જણાવવાનું કે મારા ઘરે આવી તમને કોઇ પણ પ્રકારની પરેશાની ના વેઠવી પડે એટલા માટે મેં તમારા માટે ખાખરા અને અથાણુ રસોડાના કબાટમાં પડેલા ડબ્બામાં મુકેલા છે અને એ બે જણ ધરાઇ ને નાસ્તો કરો તે ખપ પુરતું છે માટે આપ પેટ ભરીને જમો એવી મારી પ્રબળ ઇચ્છા છે. ત્યાર બાદ આપના માટે મેં મુંબઇથી મંગાવેલુ અસલ કાપડ ઘરના કબાટ ના નીચેના ભાગમાં થેલીમાં રાખેલું છે.
મહેરબાની કરી આપ એને ધારણ કરો. વધુમાં જણાવવાનું કે આપે હમણા જે લોકર ખોલ્યું છે તેમાં આપને કશું હાથ લાગ્યુ હશે નહીં. હું એ બાબતે ક્ષમા માગું છું આપની પણ શું કરુ. તમે ગયા વરસે આપ મારા ઘરે પધાર્યા હતા ને મારી જે હાલત થઇ હતી તે તો હું જ જાણું અને તે પછી પણ મારી દીકરીના લગન લીધા અને તદ ઉપરાંત થોડુ ધંધામાં પણ નુકશાન થયુ, એટલે આપનો આ સન્મુખલાલ ના ઘરનો રહ્યો ને ના ઘાટ નો.
છતાં પણ હે દેવ આપ પધાર્યા છો તો હુ તમને નારાજ નહિ કરું. મારા ઘરના ગોદડા ભરવાના કબાટમાં એક લોકર છે. એ લોકરમાં આપની દક્ષિણા મે સંઘરીને રાખેલી છે. પણ દેવ એ લોકર ચાવીથી નહીં પણ મારા ટી.વી ના રીમોંટથી ખુલશે... અને એ રીમોંટ ટીવીના નીચેવાળા ખાનામાં પડ્યુ હશે. મહેરબાની કરી આપ એટલી તસ્તી લેશો એવુ હું ઇચ્છુ છું... અસ્તુ આપનો અને મારી આ દશા માટે સદા આપનો આભારી, સન્મુખ"
ને બસ પછી પેલા ચોરો મલકાતા મલકાતા રીમોંટ શોધી ને બટન દબાવ્યું કે સીધી સાયરન વાગીને બાજુમાં સુતેલા બે ચોકીદાર અને પોલીસ આવી ચોર મહોદય ને પકડી પાડ્યા...બોલો છે ને બાકી કમાલ આપણા સન્મુખલાલ.