શાહરૂખ ખાનને બાલ ઠાકરેને કહ્યું 'મિસ યુ ટાઇગર'
બૉલિવુડના બાદશાહ શાહરૂખ ખાન અને શિવ સેનાના પ્રમુખ બાલા સાહેબ ઠાકરે વચ્ચે છેલ્લા ઘમા સમયથી વિવાદ ચાલી રહ્યા હતા તે જગજાહેર વાત છે. શનિવારે બાલ ઠાકરેના મૃત્યુ બાદ શાહરૂખ ખાન દુ:ખી છે. તેઓ છેલ્લા સમયે ઠાકરેને મળી નહીં શકવાને કારણે હતાશ પણ થઇ ગયા છે. શિવ સેના પ્રમુખના નિધનથી સમગ્ર મુંબઇ શહેર દુ:ખી છે. લાખોની સંખ્યામાં લોકો તેમના અંતિમ દર્શન માટે મુંબઇના રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. ઠાકરે વર્તમાન સમયના એવા રાજકીય નેતા છે જેમના માટે જનતાએ સ્વયંભૂ બંધ જાળવીને મુંબઇના સિનેમાઘરો, શોપિંગ કોમ્પ્લેક્સ વગેરે બંધ રહ્યા છે.

પોલિટિક્સથી લઇને બૉલિવુડ સાથે સંકળાયેલા નાના મોટા સૌ કોઇ લોકો બાલ ઠાકરેને શ્રધ્ધાંજલિ આપી રહ્યા છે. ટિ્વટર, ફેસબુક અને બ્લોગ્સ પર બધી જ સેલિબ્રિટી ઠાકરે સાહેબ સાથે સંકળાયેલી પોતાની યાદોને મૂકી રહી છે. લતા મંગેશકર, અમિતાભ બચ્ચન, ઋત્વિક રોશન, કરણ જોહર, શ્રીદેવી બધા જ બાલ ઠાકરે પ્રત્યે સન્માનની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. આ સાથે શાહરૂખ ખાન પણ બાલ ઠાકરે સાથે પોતાની દુશ્મની ભૂલાવીને સન્માન દર્શાવી રહ્યા છે.
17 નવેમ્બરે બાલ ઠાકરેના નિધન બાદ ટિ્વટર પર ટિ્વટ કરતા શાહરૂખ ખાને લખ્યું હતું કે "આપણે ઘણીવાર વ્યક્તિગત બાબતોને કારણે સબંધ શરૂ કરવા વિચારતા નથી અને પછી મોડું થઇ જાય છે. મારે બાલા સાહેબને મળવું જોઇતું હતું. હું મારી અને બાલા સાહેબ વચ્ચે થયેલી વાચચીતોને ખૂબ યાદ કરીશ. રેસ્ટ ઇન પીસ સર."
ઉલ્લેખનીય છે કે જ્યારે શાહરૂખ ખાનની ફિલ્મ માય નેમ ઇઝ ખાન રજૂ થઇ હતી ત્યારે ઠાકરેએ તેમને ચેતવણી આપી હતી કે તેઓ માય નેમ ઇઝ ખાનની રજૂઆત થવા દેશે નહીં. કારણ કે શાહરૂખ ખાનની ટીમ કોલકત્તા નાઇટ રાઇડર્સમાં 2008માં અનેક પાકિસ્તાની ખેલાડીઓને લેવામાં આવ્યા હતા.
ત્યાર બાદ વર્ષ 2012માં આઇપીએલ મેચ દરમિયાન શાહરૂખ ખાન અને મુંબઇના વાનખેડે સ્ટેડિયમના સિક્યુરિટી ગાર્ડ વચ્ચે થયેલા વિવાદને પગલે શિવ સેનાએ મોટી બબાલ ઉભી કરી હતી. આ કારણોથી શાહરૂખ ખાન અને બાલ ઠાકરે વચ્ચેનું અંતર વધ્યું હતું. ત્યાર બાદ બંને એક બીજાની સામે આવ્યા નથી. જો કે ઠાકરેના નિધન બાદ શાહરૂખે તેમને નહીં મળી શકવાનો ખેદ વ્યક્ત કર્યો હતો.












Click it and Unblock the Notifications
