રાજકોટમાં તંગદીલીઃ આત્મવિલોપનના પ્રયાસ બાદ આગચંપીના બનાવો
માહિતી અનુસાર ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટૂકડીઓ મહાનગરપાલિકા તથા સિવિલ હોસ્પિટલ પહોંચી ગઇ છે. તેમજ શહેરનું વાતાવરણ વધુ ડહોળાય નહીં તે માટેની કવાયદ હાથ ધરી છે. બીજી તરફ એવા સમચાર પણ મળી રહ્યાં છે કે, ઉશ્કેરાયેલા ટોળાએ એક એસટીની બસને આગ ચાંપવા ઉપરાંત એ જ બસના ડ્રાઇવરને માર પણ માર્યો છે. બસના ડ્રાઇવરે જણાવ્યું છેકે ચારથી પાંચ લોકોએ આવીને બસને આગ ચાંપી હતી અને તેને માર માર્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકામાં બનેલી ઘટના એવી છે કે, આજે બપોરે હનુમાન મઢી પાસે આવેલી છોટુનગર સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે સોસાયટીના હોદ્દેદારોએ મહાનગરપાલિકાને જાણ કરી હતી અને ત્યારબાદ ટાઉન પ્લાનિંગ શાખાએ દબાણકારોને નોટિસ પણ ફટકારી હતી. જેને લઇને દબાણકર્તાઓ રજૂઆત કરવા માટે મહાનગરપાલિકા ગયા હતા.
જ્યાં પોતાની સાથે કેરોસીન પણ લઇ ગયા હતા અને કોઇ કંઇ સમજે તે પહેલાં જ તેમણે પોતાના પર કેરોસીન છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે. હાલ રાજકોટ શહેરમાં તંગદીલીનો માહોલ સર્જાયો હોવાના અહેવાલ મળી રહ્યાં છે.