ગુજરાતમાં હજુ પણ મહારાષ્ટ્ર હિંસાના ઘેરા પ્રત્યાઘાત પડવાની શક્યતા
મહારાષ્ટ્રની ભડકેલી હિંસાના પગલે આવનારા દિવસોમાં ગુજરાતની શાંતિ પણ ભંગ થઇ શકે છે તેવો રિપોર્ટ આઇબી દ્વારા આપવામાં આવ્યો છે. જેના પગલે ગુજરાતમાં પણ ચાંપતો સુરક્ષા બંદોવસ્ત કરવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રમાં બુધવારે થયેલી હિંસા અને તોફાનના પગલે ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું હતું. તેમ છતાંય, પોલીસ બંદોબસ્ત ગોઠવે તે પહેલા જ ધોરાજી પાસે આવેલા ભુખી ગામ નજીક દલિતોના ટોળાએ રાજકોટથી ઉપલેટા જઇ રહેલા એસ ટી બસને રોકીને તેમાં આગ લગાવી હતી. ત્યારબાદ એસ ટી વિભાગના રાજકોટ ડીવીઝન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ગુરૂવાર સાંજ સુધી ધોરાજી ડીવીઝનની બસ સર્વિસને બંધ કરવામાં આવશે. તેમજ ગુજરાતમાં સંવેદનશીલ સ્થળોએ પણ બસ સેવા રોકવી કે નહી તે અંગે વિચારણા કરવામાં આવી રહી છે. બીજી તરફ ગુજરાતથી મુંબઇ થતી 200 જેટલી એસટી બસ અને 100થી વઘારે ખાનગી બસની સેવા પણ 24 કલાક સુધી બંધ કરવામાં આવી છે. કારણ કે અમદાવાદ મુંબઇ રૂટની બે થી ત્રણ વોલ્વો બસ પર પથ્થરમારો કરીને મોટાપાયે નુકશાન કરવામા આવ્યું છે.
આ તરફ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ડીજીપી પ્રમોદકુમાર અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મીંટીગ કરી હતી અને ગુજરાતમાં પોલીસને સ્ટેન્ડ ટુ કરવાની સુચના આપી હતી. આ ઉપરાંત, રાજ્યમાં આવેલા વિવિધ દલિત સંગઠનો પર વોચ રાખવા માટે સ્ટેટ આઇબીને તાકીદ કરવામાં આવી છે. ખાસ કરીને ગુજરાતના સંવેદનશીલ વિસ્તારમાં સતત પેટ્રોલીંગ કરવાની સુચના આપવામાં આવી છે. સુરતમાં પણ ગુરૂવારે મોટા પ્રમાણમાં વિરોધ કરવાના વિવિધ કાર્યક્રમો યોજાવાના હતા. જેને સુરત પોલીસ કમિશનરે તાત્કાલિક મુલ્તવી કરવામાં આવી હતી. અમદાવાદ પોલીસ કમિશનર એ. કે. સીંગના જણાવ્યા મુજબ જીજ્ઞેશ મેવાણી અમદાવાદના મેઘાણી નગરમાં રહે છે અને શહેરના ઘણા વિસ્તારમાં તેના સમર્થકો રહે છે. જેથી અમદાવાદમાં 2000થી વધારે પોલીસને તૈનાત કરવામાં આવ્યા છે.
બીજી તરફ રેલવે પોલીસે પણ ગુજરાતથી મુંબઇ જતી તમામ ટ્રેનો પર નજર રાખવા માટે ટ્રેનમાં વિશેષ સુરક્ષા તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત, મહારાષ્ટ્રની ઘટનાને પગલા ઘણા મુસાફરોએ મુંબઇ જવાની ટીકીટ કેન્સલ કરાવી હતી. ખાસ કરીને અમદાવાદથી ઉપડતી કર્ણાવતી એક્સેપ્રેસ જેવી ટ્રેનમાં મુસાફરોનો ઘટાડો જોવા મળ્યો હતો. તથા વાપી અને સુરત રૂટ પર તોફાન થવાના રિપોર્ટ આઇબી દ્રારા આપવામાં આવ્યા છે. વધુમાં IB દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યા છે કે હજુ પણ ગુજરાતમાં આ સંદર્ભમાં ઘેરા પ્રત્યાઘાત પડી શકે તેમ છે.