પર્યાવરણ દિનથી પ્લાસ્ટિક કચરો હટાવો ઝૂંબેશ શરૂ થશે
ગુજરાતમાં પર્યાવરણ દિવસથી એટલે કે, પાંચમી જૂનથી રાજ્યમાં પ્લાસ્ટિક કચરો હટાવો કેમ્પેઇન શરૂ કરવામાં આવશે.
ગુજરાતમાં પર્યાવરણ દિવસથી એટલે કે, પાંચમી જૂનથી રાજ્યમાં પ્લાસ્ટિક કચરો હટાવો કેમ્પેઇન શરૂ કરવામાં આવશે. જળ સંચય અભિયાન એક મહિના સુધી ચાલ્યું હતું. આ જળ સંચય અભિયાનને રાજ્યમાં ભારે સમર્થન મળ્યા બાદ હવે રાજ્ય સરકારે પ્લાસ્ટિક કચરો હટાવો ઝૂંબેશ શરૂ કરી છે. પ્લાસ્ટિકના પ્રદૂષણને નાથો થીમ સાથે ઠેર ઠેર જોવા મળતા પ્લાસ્ટિકના કચરાને એકઠો કરીને રિસાઇક્લિંગ સ્થળ સુધી પહોંચાડવા અભિયાન ચલાવવામાં આવશે. ગાંધીનગરથી મુખ્યમંત્રી આ અભિયાનની શરૂઆત કરશે.
5મી જૂનથી પ્લાસ્ટિક હટાવો ઝૂંબેશ
રાજ્યની આઠ મહાનગરપાલિકા તેમજ 162 જેટલી નગરપાલિકા અને તમામ તાલુકા અને જિલ્લાના મુખ્યમથકો તેમજ મોટા શહેરોને અડીને આવેલાં મોટા ગામડાંમાંથી પ્લાસ્ટિક કચરો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. પ્લાસ્ટિક હટાવો અભિયાન 5 જૂનથી 11 જૂન સુધી ચલાવવામાં આવશે. રાજ્યના કેબિનેટ પ્રધાન ભુપેન્દ્રસુંહ ચુડાસમા અને રાજ્યકક્ષાના પ્રધાન જયદ્રથસિંહ પરમારે આ અંગે એક સાપ્તાહિકના કાર્યક્રમની જાહેરાત કરી હતી.
ભારત પર્યાવરણ દિવસનો યજમાન દેશ
સમગ્ર વિશ્વમાં 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે મનાવવામાં આવે છે. જેમાં પર્યાવરણ દિવસનું ભારત યજમાન દેશ છે. ત્યારે, પર્યાવરણ દિવસની ઉજવણી અલગ રીતે કરવા રાજ્ય સરકારે પ્લાસ્ટિકના કચરાને હટાવવા અભિયાન ઉઠાવ્યું છે. આજે પ્લાસ્ટિકનો વપરાશ કેન્સર સમાન થઇ ગયો છે. રાજ્યમાં મોટા શહેરોમાં ખાસ કરીને પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવેલ હોવા છતાં તેનો વપરાશ થઇ રહ્યો છે. શહેર કે ગામડાઓમાં પ્લાસ્ટિકના ઢગલાં અને ઠેર ઠેર પ્લાસ્ટિક પડેલું સામાન્ય થઇ ગયા છે. હાલમાં પ્લાસ્ટિકનો વપરાશ અનિવાર્ય હોય તેવી સ્થિતિ છે. ત્યારે, પ્લાસ્ટિકના કચરાને હટાવવાની અને તેના નિકાલની જાગૃતિ કેળવવી આવશ્યક બની ગઇ છે.
પ્લાસ્ટિક વપરાશ અંગે જાગૃતિ
આ કારણે જ ગુજરાત સરકારે પ્લાસ્ટિકના કચરાને એકઠો કરવા બાબતે જાગૃતિ કેળવાય તે માટે એક અઠવાડિયા સુધી ઝૂંબેશ ચલાવીને પ્લાસ્ટિકના કચરાને એકત્ર કરી તેનો નાશ કરવા અંગે અભિયાન ચલાવવામાં આવશે. આ પ્લાસ્ટિકના કચરાને રિસાઇકલિંગ કરવા સ્થળ સુધી પહોચાડવા અને પ્લાસ્ટિક અવેરનેશ વિકસાવવા પ્રયાસ કરવામાં આવશે.
100 જેટલા ગામોમાં પણ કરાશે કાર્યક્રમ
પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજ્યના 15 જિલ્લામાંથી પસંદ કરવામાં આવેલા 100 જેટલા ગામોમાં પર્યાવરણ દિવસના રોજ ગામના પ્રવેશદ્વાર, જાહેર સ્થળો, ધાર્મિક સ્થળો, મુખ્યમાર્ગો સહિતના સ્થળો પરથી કચરો છુટો કરવામાં આવશે. એક અઠવાડીયા સુધી વિવિધ પ્રકારના રચનાત્મક કાર્યક્રમ કરીને લોક જાગૃતિની સાથે સાથે પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા અને તેનો કચરો ન કરવા અંગેની સમજ કેળવવા કાર્યક્રમ હાથ ધરવામાં આવશે.
પ્લાસ્ટિક કચરાને રિસાઇક્લિંગ માટે મોકલાશે
પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા જોડાનાર સરકારી અને સ્વૈચ્છક સંસ્થાઓને પ્રોત્સાહિત કરવા પર્યાવરણ જાગૃતિ અને સ્વચ્છતા માટે શ્રેષ્ઠ કામગીરી કરનારને જિલ્લા કક્ષાએ અને રાજ્યકક્ષાએ પુરસ્કૃત કરવામાં આવશે. પ્લાસ્ટિક વેસ્ટને અલગથી એકત્ર કરીને તેને રિસાઇક્લિંગ કરતી સંસ્થાઓ અને એકમોને આપવામાં આવશે. સિમેન્ટ ઉદ્યોગ દ્વારા સિમેન્ટ ઉત્પાદનમાં બળતણ તરીકે પ્લાસ્ટિક વપરાય છે ત્યારે, પ્લાસ્ટિક વેસ્ટ પ્રોસેસિંગ માટે સિમેન્ટ ઉદ્યોગને પણ આપવામાં આવશે.
મેગા શહેરોમાં પ્લાસ્ટિક મોટો પડકાર
રાજ્યમાં દર વર્ષે અંદાજીત 24 કરોડ કિલોથી વધુ પ્લાસ્ટિક વેસ્ટ ઉત્પાદન થાય છે. ત્યારે, આ પ્લાસ્ટિક વેસ્ટનું મેનેજમેન્ટ મોટો પડકાર છે. મોટા શહેરોમાં તેનો વધતો વપરાશ અને તેના પર નિયંત્રણ કઠીન બન્યુ છે ત્યારે, હવે તેને રિસાઇકલ કરી તેને હટાવવા તેમજ રિયુઝ કરવાની દિશામાં સરકારે પ્રયાસ હાથ ધર્યા છે.