ગુજરાતમાં NCP એકલી લડશે, કોંગ્રેસને કદર નથી : પ્રફુલ્લ પટેલ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા એનસીપીએ કોંગ્રેસનો સાથ છોડ્યો. આ વખતની ચૂંટણીમાં એનસીપી એકલી જ લડશે તેમ તેના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલે જણાવ્યું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ગુજરાતમાં રાજકારણના નવા નવા સમીકરણો સામે આવી રહ્યા છે. ગુજરાતમાં જ્યાં એક તરફ પહેલા કોંગ્રેસ એનસીપી સાથે લડવાની વાતો કરી રહી હતી ત્યાં જ આજે એનસીપીના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલે આ મામલે રદિયો આપ્યો છે. પ્રફુલ્લ પટેલે જણાવ્યું કે આ ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી એનસીપી કોંગ્રેસ સાથે નહીં લડે. વધુમાં તેમણે જણાવ્યું કે ગુજરાતમાં કોંગ્રેસ સાથે જોડાણ કરવા માટે શરૂઆતમાં કોંગ્રેસ વાતચીત થઇ હતી. પણ તે એનસીપીને લઇને ગંભીર નથી. અને આજ કારણે જોડાણની વાતોનો વધુને વધુ મોડું થઇ રહ્યું છે. અને આ જ કારણ છે કે આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણી અમે એકલા જ લડવાનું વિચારીએ છીએ.
'રાહુલ ગાંધીએ અમારી સાથે બેઠકો શા માટે કરી?'
અમદાવાદમાં પત્રકાર પરિષદ સંબોધતા પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં એનસીપીના 100 ઉમેદવારો ચૂંટણી લડશે. એનસીપી છેલ્લા બે અઠવાડિયાથી કોંગ્રેસ સાથે બેઠક કરી રહ્યું છે અને આમ છતાં કોંગ્રેસની પ્રથમ યાદીમાં એનસીપીને અન્યાય થયો હોવાનું જણાઇ રહ્યું છે. કોંગ્રેસ ગઠબંધનના ધર્મની વિરુદ્ધનું કામ કરી રહી છે. અમારી સાથે જોડાણ નહોતું કરવું તો રાહુલ ગાંધીએ અમારી સાથે બેઠકો શા માટે કરી? અમે આવતીકાલે પ્રથમ યાદી જાહેર કરીશું અને આ યાદી 100થી વધીને 120 કે 150ની પણ થઇ શકે છે.
'એકલા હાથે લડીશું ચૂંટણી'
સાથે જ એનસીપીના પ્રફુલ્લ પટેલે જણાવ્યું કે તેમને વિશ્વાસ છે કે એકલા હાથ પણ કોંગ્રેસ વગર ગુજરાતમાં એનસીપી સારી એવી લડત આપશે. આમ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ જ્યાં એક બાજુ પાસ અને પાટીદારોને ખુશ કરવા ગઇ ત્યાં તેને જૂની પાર્ટી એનસીપીએ તેનો સાથ છોડી એકલી ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. અને હાલની પરિસ્થિતિ જોતા કોંગ્રેસ અને પાસ વચ્ચે પણ ખટરાગ વધ્યો છે તે જોતા કોંગ્રેસની હાલત બાવાના બેય બગડ્યા જેવી થઇ છે. ઉલ્લેખનીય છે કે, પ્રફુલ્લ પટેલે નવેમ્બર મહિનાની શરૂઆતમાં જ ગુજરાતમાં પાસ કન્વીનર હાર્દિક પટેલ સાથે પણ મુલાકાત કરી હતી અને ત્યારે એનસીપી અને પાટીદાર ગઠબંધનની વાતો પણ વહેતી થઇ હતી.