ગુજરાત ગૌરવ યાત્રાનું કડી ખાતે સમાપન થયું
પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સાહેબના માર્ગદર્શનમાં ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ બેચરાજીથી થયો અને કડી ખાતે સમાપન થયું હતું.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજરોજ પેજ સમિતિના પ્રણેતા અને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સાહેબના માર્ગદર્શનમાં ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ બેચરાજીથી થયો અને કડી ખાતે સમાપન થયું હતું. આ સમગ્ર યાત્રા અંદાજે કુલ 150 કિમી ફરી જેમાં 3 જાહેરસભા અને 2 સ્વાગતસભા તેમજ 3 સ્થળો પર યાત્રાનું સ્વાગત યોજવામાં આવ્યું હતું.
કડીમાં ગૌરવ યાત્રા અંતર્ગત જાહેરસભાને સંબોધવામાં આવી હતી. આ જાહેરસભાને કેન્દ્રીય મંત્રી દાનેવ રાવસાહેબ દાદારાવ, પ્રદેશ સંગઠનમંત્રી રજનીભાઇએ સંબોધન કર્યુ હતું, ત્યાર બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ધારાસભ્ય નીતિન પટેલે સંબોધન કર્યુ હતું.
કેન્દ્રનામંત્રી દાનેવ રાવસાહેબ દાદારાવજીએ સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાતમાં 27 વર્ષથી જે વિકાસ થયો છે, તેની યાત્રાનો લાભ માત્ર પાર્ટીને જ નહી, પરંતુ ગુજરાતની જનતાને પણ મળશે. કેન્દ્ર અને રાજય સરકારે જે જે વિકાસના કાર્યો કર્યા છે, તેને જનતા સમક્ષ પહોંચડાવાના છે.
નીતિન પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, કડી અને મહેસાણાને ભારતીય જનતા પાર્ટીથી ખૂબ મોટો લાભ મળ્યો છે. કોંગ્રેસના સાશનમાં કડીમાં અને ગામડામાં શું સ્થિતિ હતી તે આપ સૌ જાણો છો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના મુખ્યમંત્રી કાળમાં કડીને શ્રેષ્ઠ નગર પાલિકાને સારી કામગીરી કરવા બદલ 75 લાખ રૂપિયાનું ઇનામ મળ્યુ હતું. હાલમાં જ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કડીમાં અંદાજે 15 કરોડ રૂપિયા કરતા વધુ રકમની ગ્રાન્ટ ફાળવી છે. કડીમાં મોટુ ક્રિકેટ સ્ટેડિયમ અને રમત ગમતનુ મેદાન ટૂંક સમયમાં બનનાર છે. જનતાને વિકાસના કાર્યોનો લાભ મળ્યો છે, ત્યારે ચૂંટણીમાં કમળના ચિન્હ પર મતદાન થાય તે પણ જરૂરી છે.
નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, આજે ભાજપ પર લોકોને વિશ્વાસ છે. આજકાલ અન્ય પાર્ટીઓ બજારમાં ગેરેંટી કાર્ડ લઇને ફરે છે. અંહી થોળ તળાવમાં શિયાળામાં પક્ષીઓ હજારો કિમી દૂરથી આવે અને ગુજરાતના લોકો જોવા આવે, પરંતુ જેવો શિયાળો પુરો થાય કે તરત આ પક્ષીઓ તેમના ઘરે પાછા ફરે છે. આપણે ગુજરાતીમાં કહેવત છે કે, ચોમાસામા બિલાડીના ટોપ ફુટી નિકળે તેમ ચૂંટણીમાં પણ જૂદી જૂદી રાજકીય પાર્ટીઓ આવી જાય છે. આવી પાર્ટીઓ તમને જાત જાતની લાલચ આપશે અને ભરમાવાનો પ્રયત્ન કરશે.
આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી પરષોત્તમ રૂપાલાએ સંબોધન કરતા જણાવ્યું કે, પહેલા નગરપાલિકા એટલે અવ્યવસ્થા, ગંદકી, ગોટાળા માટે કુખ્યાત ગણાતું. નગરપાલિકામાં સારો હોલ જોયો હોય તેવુ આ પહેલુ કડી નગર છે. કડી નગરપાલિકામાં ભાજપ સરકાર પહેલા ઉકેરડા કેન્દ્ર હતું અને આજે ગૌરવ યાત્રાનું સ્વાગત થાય છે તે ગૌરવની વાત છે. આજે ભારતીય જનતા પાર્ટી અને જનતા વચ્ચે અતૂટ સબંધ બંધાયો છે. ગુજરાતમાં ભાજપની સરકાર આવી ત્યારે ખેડૂતોનું આકસ્મિક મૃત્યુ થાય તો 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી અને સરકારે તે વધારી 4 લાખ કર્યા છે.
ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પહોંચાડવા ખૂબ પરિશ્રમ કર્યો છે. વડાપ્રધાન તરીકે જવાબદારી સંભાળ્યા પછી તેમણે ઘરે ઘરે નળથી જળ પહોંચાડવાની વ્યવસ્થા કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાત અને દેશમાં આરોગ્ય સુવિધા સંભાળી અને આજે ગુજરાતના અમદાવાદમાં દેશ-વિદેશના દર્દીઓ સારવાર લેવા આવે છે. આપણા દેશનું અર્થતંત્ર આજે વિશ્વના નકશામાં 5માં નંબરે પહોંચાડ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આઇએનએસ વિક્રાતમાં વિક્ટોરિયાના નિશાનને દૂર કરી મહારાજા છત્રપતી શિવાજી મહારાજની નૌ સેનામાં જે ચિન્હ હતું, તે આજે ભારતની નૌ સેનમાં નિશાન લગાવ્યું છે.
આ યાત્રા દરમિયાન કેન્દ્રીયમંત્રી પરષોત્તમ રૂપાલા, કેન્દ્રીય મંત્રી દાનવે રાવસાહેબ દાદારાવ, સાંસદ શારદા પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ મહામંત્રી રજની પટેલ, મહેસાણા જિલ્લા પ્રમુખ જશુ પટેલ, ધારાસભ્ય કરશન સોલંકી, મહેસાણા જિલ્લા પ્રભારીઓ કૌશલ્ય કુંવરબા, કનુ પટેલ, પૂર્વ સંગઠનમંત્રી કે. સી. પટેલ, સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.