ગુજરાત : હીરા વેપારીઓ માટે સુરત ભાવનગર એર સર્વિસ શરૂ
સુરત, 14 ડિસેમ્બર : ડાયમંડ સિટી સુરતના ચાર સાહસિક હીરા વેપારીઓએ ભેગા થઈને ડાયમંડ એરોનોટીકલ પ્રાઈવેટ લિમિટેડ કંપની શરૂ કરી છે. આ કંપનીની સુરત - ભાવનગર વચ્ચેની પ્રથમ ફ્લાઇટ સેવાના શ્રીગણેશ શનિવાર 13 ડિસેમ્બર 2014થી કરવામાં આવ્યા છે. આ કંપની દ્વારા પ્રારંભિક તબક્કે સુરત અને ભાવનગર વચ્ચે દરરોજ ચાર ઉડાણ નક્કી કરવામાં આવી છે.
નોંધનીય છે કે સુરત તેની વિમાની સેવા મામલે હંમેશા વિવાદમાં રહ્યું છે. એરલાઈન કંપનીઓના ઉદાસીન વલણથી કંટાળેલા સુરતના ડાયમંડ ઉદ્યોગના ત્રણ અગ્રણી - ગોવિંદભાઈ ધોળકિયા (શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટ્સ), સવજીભાઈ ધોળકિયા (શ્રી હરિકૃષ્ણ એક્ષ્પોર્ટ્સ) અને લાલજીભાઈ ટી. પટેલ (ધર્મનંદન ડાયમંડ) તેમજ એક બિલ્ડર લવજીભાઈ દાલીયા (બાદશાહ) સહિત ચાર ઉદ્યોગકારોએ સંયુક્ત રીતે ડાયમંડ એરોનોટિકલ પ્રાઈવેટ લિમિટેડ અને અને વેન્ચૂરા એર કનેક્ટની નવી એરલાઈન કંપની શરૂ કરી છે.
વિમાન સેવા પ્રદાન કરવા કંપનીએ નવ સીટના બે વિમાન ખરીદ્યા છે. આ ફ્લાઈટ 30 મિનિટથી પણ ઓછા સમયમાં ભાવનગર પહોંચાડે છે. આ સેવા શરૂ થવાથી સુરત અને ભાવનગર વચ્ચેનું 10 કલાકનું અંતર માત્ર અડધા કલાકમાં પૂરું થશે.પ્રાથમિક તબક્કામાં સુરત-ભાવનગર વચ્ચે દિવસમાં ચાર ફ્લાઈટ રહેશે.
આ રૂટ પર પ્રત્યેક સીટ દીઠ મિનિમમ રૂપિયા 2000 અને રૂપિયા 4000 ભાડું રાખવામાં આવ્યું છે. આગામી સમયમાં રાજકોટ, ભૂજ, અમદાવાદ સુધી પણ વિમાની સેવા વિસ્તારવાનું આયોજન છે. ત્યારે વિમાની સેવાની સલામતી અને યાત્રીઓની સુરક્ષા માટે પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.