'વિપક્ષીઓની આલોચનાનો ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાનો સણસણતો જવાબ'
ગાંધીનગર, 26 ફેબ્રુઆરી: એક સમયનું ગુજરાત જેનું દેશ કે વિશ્વમાં કયાંય નામ નહોતું એ ગુજરાતને મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના છેલ્લા એક દાયકાના શાસનમાં વિશ્વમાં નામ મળ્યું છે તો ગુજરાતની જનતાને માન મળ્યું છે. ગુજરાત તો ૧૯૬૦થી હતું પણ વર્ષ ર૦૦૧ પહેલાંના રાજ્યના નેતૃત્વને ગુજરાતની આ ક્ષમતા અને ગુજરાતની જનતાનું ખમીર કે તેનામાં રહેલી વિકાસની ઊર્જાવાન ક્ષમતા ક્યારેય દેખાઇ નહોતી, જે છેલ્લા એક દાયકાના દ્રષ્ટિ સંપન્ન નેતૃત્વે જોઇ જ નહીં પણ વિકાસની જયોત પ્રગટાવી, જે આજે દેશ સહિત વિશ્વમાં પણ ઝળહળી રહી છે.
રાજ્યપાલના સંબોધન પર ચર્ચા અને આભાર પ્રસ્તાવનું સમાપન કરતાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે વિધાનસભા ગૃહમાં વિપક્ષ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ગાંધી અને સરદારના નામે ઓળખાતું ગુજરાત હવે મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના નામે પણ ઓળખાય છે અને તે રાજ્યના ૬ કરોડ ગુજરાતીઓનું ગૌરવ છે.
રાજ્યપાલશ્રીના સંબોધન પર છેલ્લા ત્રણ દિવસથી ચાલતી ચર્ચાના આજે ત્રીજા અને છેલ્લા દિવસે સભ્ય આત્મારામ પરમારે ર૩ જાન્યુઆરીના રોજ રજૂ કરેલા આભાર પ્રસ્તાવને વિધાનસભા ગૃહમાં અધ્યક્ષે મૌખિક મતદાન માટે મુકતાં તેનો મૌખિક મતદાનથી બહુમતિથી આભાર પ્રસ્તાવનો સ્વીકાર કરાયો હતો. આભાર પ્રસ્તાવ પરની ચર્ચામાં વિધાનસભા ગૃહમાં કુલ ૩પ સભ્યોએ ભાગ લીધો હતો, જેમાં સત્તાધારી પક્ષના ર૦ અને વિપક્ષના ૧પ સભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો.
ગુજરાતે છેલ્લા એક દાયકામાં તમામ ક્ષેત્રોમાં સાધેલી પ્રગતિ અને રાષ્ટ્રીય મહાનુભાવો, અગ્રણી, પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ દ્વારા ગુજરાત અને મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રસંશા અંગે વિપક્ષી નેતાના ઉલ્લેખનો તાર્કિક પ્રત્યુત્તર વાળતા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રતન ટાટા, મુકેશ અંબાણી, અનિલ અંબાણી શું કોઇની ચિઠ્ઠી વાંચીને બોલે? એવું તેમનું વ્યક્તિત્વ છે?
એ ઉપરાંત શરદ પવાર, દિલ્હીના મુખ્ય મંત્રી શીલા દિક્ષીત, પૃથ્વીરાજ ચૌહાણ, ર્ડા. ફારૂખ અબ્દુલ્લાહ, એન. વિઠ્ઠલ આવા તો અનેક મહાનુભાવોએ ગુજરાતના વિકાસને તેના સુશાસનની ભરપુર પ્રસંશા કરી, ગુજરાતના વર્તમાન નેતૃત્વને નવાજ્યું છે, તો શું આ મહાનુભાવો પણ ગુજરાતના મુખ્ય મંત્રી ‘સ્ક્રિપ્ટ' મુજબ બોલે છે? ગુજરાતનો વિકાસ એ પંચશક્તિના આહ્વાનનું ચમત્કારિક પરિણામ છે, તેમ જણાવી શ્રી ચુડાસમાએ ગુજરાતે સાધેલા સર્વાંગી વિકાસનો ગૃહમાં વિગતવાર ચિતાર આપ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, ૧૯૬૦થી તમામ ક્ષેત્રો અંધકારની ગર્તમાં ધકેલાયેલા ગુજરાતમાં ર૦૦૧૦રથી વિકાસની જયોત પ્રગટી છે. ગુજરાતમાં કચ્છનું રણ, યાત્રાધામ અંબાજી, નવરાત્રિ મહોત્સવ, મકરસક્રાંતિ આ બધું તો પહેલાં પણ હતું પણ કમનસીબે ર૦૦૧ પહેલાં કોઇને આ ન દેખાયું પણ મુખ્ય મંત્રીએ ‘ઇનોવેટિવ' કાર્યદ્રષ્ટિ દ્વારા ગુજરાતની વિશ્વમાં નવી ઓળખ આપી.
ગુજરાત શું છે તેની પ્રતિતી કરાવી... ગુજરાતે ‘‘તૃષ્ટિકરણ કોઇનું નહીં વિકાસ સૌનો''ની રાજનીતિ અપનાવી એના જ કારણે રાજ્યમાં હવે મુસ્લિમ ભાઇઓનું સમર્થન પણ વધ્યું છે. ગુજરાતની જનતાએ પણ ‘દિશા બદલીએ, દશા બદલીએ' ની માળા જપનારાઓને વિકાસ પ્રક્રિયા સામે સતત અપપ્રચાર કરનારાઓને તેમની દિશા બતાવીને દશા પણ બગાડી નાંખી છે ત્યારે હજી પણ તેઓ વાસ્તવિકતા સ્વીકારી શકતા નથી. પરંતુ ગુજરાતની જનતાને વર્તમાન નેતૃત્વમાં જે પ્રચંડ વિશ્વાસ છે, જે સમર્થન છે તેના જ સથવારે આપણું ગુજરાત આગામી દિવસોમાં ભવ્ય અને દિવ્ય ગુજરાત બનશે, એ નિતિ છે, એ નિતિ છે, તેમ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.