આણંદથી હાર્દિક પટેલની ધકપકડ, વિજાપુરમાં ટાયર સળગાવાયા
સોમવારે મોડી સાંજે આણંદ પાસેથી હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી હતી.
સોમવારે મોડી સાંજે પોલીસે પાસ કન્વીનર હાર્દિક પટેલની આણંદ નજીકથી ધરપકડ કરી હતી. હાર્દિક પટેલ અને તેના 6 સાથી વિરુદ્ધ પાટણમાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જેના અનુંસંધાનમાં આ ધરપકડ કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ જ મામલે દિનેશ બાંભણીયાની રાજકોટથી ધરપકડ કરવામાં આવી હતી. હાર્દિકની ધરપકડ બાદ એસઆરપીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ હાર્દિકને અજ્ઞાત સ્થળે લઇ જવામાં આવ્યો હતો. હાર્દિકની ધરપકડ થતા વિજાપુરમાં મોતીપુરા રેલવે ફાટક પાસે કેટલાક લોકોએ ટાયરો સળગાવ્યા હતા. આ અંગે સ્થાનિક પોલીસને જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા, પરંતુ ત્યારે ત્યાં કોઇ નજરે પડ્યું નહોતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, વિદ્યાનગરમાં સ્ટ્રાઇક ગૃપ અને ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલના ઉપક્રમે ગણેશોત્સવનું આયોજન કરાયું છે. જેમાં સોમવારે સાંજની આરતીમાં હાર્દિક પટેલ હાજરી આપનાર હતા. જો કે, હાર્દિક સમારંભ સ્થળે પહોંચે તે પહેલાં જ ચીખોદરા ચોકડી પાસેથી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ગાંધીનગર પાસીંગની પોલીસ ગાડીમાં બેસાડી તેને અજ્ઞાત સ્થળે લઇ જવાયો હતો. હાર્દિકના કાફલામાં જોડાયેલા તેના એક સમર્થકે વિદ્યાગનર ખાતે સમારંભમાં ઉપસ્થિત 'પાસ'ના પ્રવક્તા વરુણ પટેલને આ અંગેની જાણ કરતા વરુણે કાર્યક્રમ સ્થળે જાહેરાત કરી હતી કે, હાર્દિક પટેલની ચીખોદરા ચોકડી પાસેથી પોલીસે ધરપકડ કરવામાં આવી હોવાથી તેઓ આ કાર્યક્રમમાં આવી શકશે નહીં.