લોકસભા ચૂંટણી પહેલાં શરૂ થયેલું ઉપવાસનું શસ્ત્ર કેટલું કારગર નિવડશે?
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો મતદારોને રિઝવવાના રવાડે લાગી ગયા છે. ભાજપ હોય કે કોંગ્રેસ દરેક મતદારોને પોતાના તરફે કરવાનું ગણિત માંડી રહ્યા છે.
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો મતદારોને રિઝવવાના રવાડે લાગી ગયા છે. ભાજપ હોય કે કોંગ્રેસ દરેક મતદારોને પોતાના તરફે કરવાનું ગણિત માંડી રહ્યા છે. ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગઢ રહ્યો છે. પરંતું, 2017ની વિધાનસભાની ચૂંટણીમાં આ ગઢના કાંગરા બચાવવામાં ભાજપ માંડ માંડ સફળ થયો છે. ત્યારે, હવે 2014ની લોકસભા ચૂંટણીની માફક તમામ બેઠક પર કેસરિયો લહેરાવવો ભાજપ માટે કઠીન જોવા મળી રહ્યો છે. તો કોંગ્રેસ માટે પણ લોકસભામાં અસ્તિત્વની લડાઇ છે. ગુજરાતની રાજકીય વિચારધારામાં આમૂલ પરિવર્તન ઉભર્યુ છે. રાજ્યમાં ત્રણ સામાજિક આંદોલનકારીઓએ સરકારની ઉંઘ હરામ કરી નાખી છે. ત્યારે, હવે રાજ્યમાં ઉદ્ભવેલો ઉપવાસ આંદોલનોનો નવો ચીલો ભાજપ માટે કપરાં ચઢાણ બનાવી રહ્યો છે.
વાંચો: હાર્દિક પટેલ સહીત અનેક સમર્થકોની અટકાયત કરવામાં આવી
પાટીદાર નેતાએ ઉપવાસ કરવાની જાહેરાત કરી આપ્યો પડકાર
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગેરરીતિના આરોપ સાથે કોંગ્રેસ રાજ્યવ્યાપી દેખાવો અને ધરણાં કરી રહી છે. વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી અચોક્કસ મુદ્દતના ઉપવાસ પર ઉતરીને મગફળી કૌભાંડને ખુલ્લું પાડવાના નામે ક્યાંક પોતાની રાજકીય વોટબેંક મજબુત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો, બીજી તરફ પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ ઉપવાસ પર બેસવાની જાહેરાત કરીને સરકારને પડકાર આપી ચુક્યા છે. રાજ્ય સરકાર તરફથી ઉપવાસ પર બેસવા મંજૂરી ન મળતાં હાર્દિક પટેલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને મંજૂરી આપવા માંગણી કરી છે.
ભાજપ કોંગ્રેસ માટે નથી પુર્ણ સાનુકૂળ માહોલ
લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના મહિના બાકી છે. ભાજપ માટે 2014ની સ્થિતિએ સાનુકૂલ માહોલ પણ નથી. ગુજરાતમાં સામાજિક અને રાજકીય આંદોલનથી ભાજપની વોટબેંકમાં ગાબડું પડવાની ભીતિ પણ જોવા મળી રહી છે. ત્યારે, આ લોકસભાની ચૂંટણી નરેન્દ્ર મોદીના કરિશ્માઇ વ્યક્તિત્વના આધારે જિતવી ભાજપ માટે મુશ્કેલ છે. ભાજપનો આંતરિક અસંતોષ પણ ભાજપને ભારે પડી શકે તેવી ભીતિ છે. રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ દ્વારા મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહી છે.
હાર્દિક પટેલની અટકાયત કરવાનું સરકારને પડશે ભારે?
ભાજપ અને કોંગ્રેસ લોકસભામાં પોતાનો ડંકો વગાડવાનો મરણિયો પ્રયાસ તો કરી રહ્યા છે. પરંતું, તેની કોઇ જમીની અસર હવે વર્તાતી નથી. ત્યારે, બંને પક્ષો પોતાનો પ્રભાવ ફેલાવવા પ્રયાસમાં છે. તો, હાર્દિક પટેલ પોતાનો દબદબો વધારવા અને રાજકીય કદ મજબુત કરવાની જુગાડમાં લાગી ગયો છે. હાર્દિક પટેલે ઉપવાસ પર બેસવાની વાત કરીને સરકારને ભિંસમાં લેવાનો પ્રયાસ કર્યો છે. તો, સરકારે તેને ઝટકો આપતાં પુરી તાકાત સાથે ઉભરતાં આંદોલનને દામી દેવાનો પ્રયાસ પણ કર્યો છે. સરકારે હાર્દિક પટેલ સહિતની અટકાયત કરી તેમને ઉપવાસ પર બેસતાં અટકાવવા પ્રયાસ કર્યો છે. જે સરકારને કેટલું ફાયદાકારક રહેશે તે જોવું રહ્યું.
મગફળીના મુદ્દે ભિંસમાં મુકાયેલી સરકારના હવાતિયાં
કોંગ્રેસ પણ રાજ્યમાં છેલ્લા ત્રણેક દાયકાથી સત્તાથી દૂર છે. તો, લોકસભામાં પણ કોંગ્રેસનું પ્રતિનિધિત્વ શૂન્ય છે. પરંતું, કોંગ્રેસ પક્ષ આંતરિક વિખવાદ અને જૂથબંધીથી ખોખલો બની ગયો છે. ઉપવાસ આંદોલનોના નામે રાજકીય સક્રિયતા ઉભી કરવા કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે.. પરંતું, જમીની સક્રિયતાનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે, આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ભ્રષ્ટાચારનો મુદ્દો ભાજપના દાંત ખાટ્ટા કરે છે કે, હવાઇ જાય છે તે જોવું રહ્યું. સરકાર એક તરફ મગફળીના મુદ્દે ઘેરાયેલી છે. ભાજપ સરકાર મગફળીકાંડમાંથી પોતાને બચાવવા અને જવાબદારીમાંથી છટકવાના પ્રયાસ કરી રહી છે તેમજ કોંગ્રેસ પર આક્ષેપ લગાવી રહી છે. પરંતું, વાસ્તવિકતા કે, ભ્રષ્ટાચારના મુળ સુધી કેમ જતી નથી. તટસ્થ તપાસની કેમ કાર્યવાહી થતી નથી. તેને લઇને થઇ રહેલું ઉપવાસ આંદોલન કેટલું સત્તાના આસ્વાદ સુધી પહોચાડશે તે જોવું રહ્યું.