મોરબીનો ઝુલતો પુલ કેવી રીતે એક સેકન્ડમાં થયો ધરાશાયી, નજરે જોનાર સ્થાનિકોએ વર્ણવી દૂર્ઘટનાની ભયાનકતા
મોરબીના ઝુલતા પુલની સમગ્ર દૂર્ઘટના નજરે જોનાર સ્થાનિક લોકોએ આ વિશે માહિતી આપી છે.
Morbi Cable Bridge Collapses: ગુજરાતમાં મોરબીનો ઝુલતો પુલ નદીમાં પડવાની દર્દનાક દૂર્ઘટનામાં અત્યાર સુધી 100થી વધુ લોકોના મોત નીપજ્યા છે અને ઘણા લોકો ઘાયલ છે. ઉલ્લેખનીય છે કે રવિવારે સાંજે 6.45 વાગે મોરબીની મચ્છુ નદી પર આવેલા ઝુલતા બ્રીજ પર 150થી વધુ લોકો હાજર હતા. જેમાંથી 100થી વધુ લોકોના મોત નીપજ્યા છે. અત્યાર સુધીમાં 177 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. મોરબી સિવિલ હૉસ્પિટલના મેડિકલ સુપરિટેન્ડન્ટના જણાવ્યા મુજબ હૉસ્પિટલમાં મૃત્યુ પામનારાઓમા મોટાભાગના બાળકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે. અમુકની હાલત ગંભીર છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે. સમગ્ર દૂર્ઘટના નજરે જોનાર સ્થાનિક લોકોએ આ વિશે માહિતી આપી છે.

જોતજોતામાં પળવારમાં પુલ ધરાશાયી
હિન્દુસ્તાન ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યુ કે આ ઘટના પળવારમાં બની હતી. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યુ હતુ કે 'દુર્ઘટના સમયે પુલ પર ભીડ હતી કારણ કે દિવાળીની રજાઓને કારણે ઘણા લોકો અહીં ફરવા આવ્યા હતા. તેઓ ખુજ બ્રિજની મુલાકાત લેવા આવ્યા હતા અને ઘટના પહેલા પુલ પરથી નીકળી ગયા હતા.'અન્ય એક સ્થાનિકે કહ્યુ, 'કેબલ તૂટી ગયો અને એક સેકન્ડમાં પુલ તૂટી પડ્યો. લોકો એકબીજા પર પડતા નદીમાં પડ્યા હતા. કેટલાક લોકો પુલની બાજુના સળિયાઓને પકડવામાં સફળ થયા પરંતુ તેમાંથી મોટાભાગના નદીમાં પડી ગયા.'

'આટલા લોકોને બ્રિજ પર જવાની શા માટે મંજૂરી આપી?'
ઘણા સ્થાનિકોએ સવાલ કર્યો છે કે સ્થાનિક સત્તાવાળાઓએ એકસાથે આટલા લોકોને બ્રિજ પર જવાની શા માટે મંજૂરી આપી? અન્ય એક સ્થાનિક રહેવાસી રંજનભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, 'અમે શક્ય તેટલા લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. અમે તરવા માટે સક્ષમ લોકોને બહાર કાઢ્યા. મોટાભાગના લોકો નદીની વચ્ચે પડી ગયા હોવાથી અમે તેમને બચાવી શક્યા ન હતા. સ્થાનિક અધિકારીઓને અકસ્માત સ્થળે પહોંચવામાં ઘણો સમય લાગ્યો હતો.'

'અમે લોકોને બચાવવા નદીમાં કૂદ્યા'
સોશિયલ મીડિયા પરના વીડિયોમાં પુલ ધરાશાયી થયા બાદ પણ લોકો પુલની બાજુમાં લટકતા જોવા મળે છે. જ્યારે અનેક લોકો તરીને નદીમાંથી બહાર આવ્યા છે. પીટીઆઈએ અન્ય એક પ્રત્યક્ષદર્શીને ટાંકીને કહ્યુ કે, 'હું મારા ઑફિસ સમય પછી નદી કિનારે મિત્રો સાથે આવ્યો હતો જ્યારે અમે પુલ તૂટવાનો અવાજ સાંભળ્યો. અમે ત્યાં પહોંચ્યા અને લોકોને બચાવવા માટે પાણીમાં કૂદી પડ્યા. અમે કેટલાક બાળકો અને મહિલાઓને બચાવ્યા.'

ભારતની સૌથી ભયાનક દૂર્ઘટનાઓમાંની એક
મોરબીનો પુલ તૂટી પડવો એ તાજેતરના દાયકાઓમાં ભારતમાં બનેલી સૌથી ભયંકર ઘટનાઓમાંની એક છે. છેલ્લી વખત આવુ 2016માં બન્યુ હતુ જ્યારે એક ફ્લાયઓવર રોડ પર તૂટી પડ્યો હતો, જેમાં ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયા હતા. ઓક્ટોબર 2011માં દાર્જિલિંગથી લગભગ 30 કિમી દૂર તહેવારોની ભીડથી ભરેલો પુલ તૂટી પડતાં ઓછામાં ઓછા 32 લોકો માર્યા ગયા હતા. હાલમાં અરુણાચલ પ્રદેશમાં એક નદી પર ફૂટબ્રિજ તૂટી પડતાં 30 લોકોના મોત નીપજ્યા છે.













Click it and Unblock the Notifications
