મણિનગરવાસીઓનો મારા પર પૂર્ણ હક્ક છે : PM નરેન્દ્ર મોદી
અમદાવાદ, 21 મે : દિલ્હીમાં રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદીને ભાવિ વડાપ્રધાન ઘોષિત કર્યા બાદ 20 મેના રોજ સાંજે અમદાવાદ પરત ફરેલા નરેન્દ્ર મોદીએ તેમના લોકસભા મતવિસ્તાર મણિનગરમાં એક જાહેર સભા સંબોધીને જણાવ્યું હતું કે મણિનગરવાસીઓને મારા પર સંપૂર્ણ હક્ક છે.
નરેન્દ્ર મોદી 20 મેની સાંજે દિલ્હીથી અહીં આવી પહોંચ્યા હતા અને મણિનગરમાં જાહેર સભા યોજી હતી. આ સભામાં મણિનગર વિધાનસભા મતવિસ્તારના તમામ સ્થાનિક નેતાઓ, અગ્રણીઓ, સમર્થકોએ તેમનું સ્વાગત કર્યું હતું.
મોદીએ હાજર જનમેદની સમક્ષ કરેલા સંબોધનમાં કહ્યું કે આપ સૌનો, સમગ્ર ગુજરાતનો મારી પરનો સંપૂર્ણ હક્ક છે. તમે મણિનગરવાસીઓ કહી શકશો કે અમે વડા પ્રધાનને ઓળખીએ છીએ, અમે સાથે સીંગચણા ખાધેલા.
મોદીએ કહ્યું કે, હવે આપણી સમક્ષ જવાબદારી બહુ મોટી છે, સામાન્ય માનવીના સપના પરિપૂર્ણ કરવાના છે. જે ઝડપે ગુજરાત આગળ વધ્યું છે તેનાથી વધારે ઝડપે હવે દેશને પણ આગળ વધારવાનો છે. મને એમાં ગુજરાતમાંનો અનુભવ કામમાં આવશે.
મોદીએ તેમના સંબોધનમાં તેમના નિકટના સહયોગી અને લોકસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશમાં ભાજપના પ્રહારી તરીકે સેવા બજાવનાર અમિત શાહનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, આ વખતની ચૂંટણી દરમિયાન દેશને અમિત શાહ નામનો એક સક્ષમ કાર્યકર્તા દેશને મળ્યો છે.
મણિનગર વિસ્તારના નાગરિકોનો આભાર માનવા નરેન્દ્ર મોદી આજે સાંજે અહીં રોડ શૉ પણ કર્યો હતો . મોદી મણિનગર બેઠક પરથી ત્રણ વાર વિધાનસભા ચૂંટણી લડીને જીતી ચૂક્યા છે.
મોદીએ જણાવ્યું કે મણિનગરના લોકોએ મને આપેલા પ્રેમનું હું ક્યારેય ભૂલી નહીં શકું. મણિનગર અને પૂર્વ અમદાવાદનો વિકાસ કરવાનું મેં સપનું જોયું છે, તે એક દિવસ સાકાર થશે. વિકાસનો મંત્ર સામાન્ય માનવીનું જીવન બદલી શકે છે.
બુધવારે મોદી ગુજરાતના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે. તે સાથે જ તેમના અનુગામી તરીકે આનંદીબેન પટેલનાં નામ પર અંતિમ મહોર લાગી જશે.