મોદીની હેટ્રિકઃ 'વિકસીત' ગુજરાતમાં લહેરાયો કેસરિયો
ગુજરાત વિધનસભાની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક 71 ટકા કરતા પણ વધારે મતદાન થયું હતું. સતત 11 વર્ષથી વિકાસનો પથ પકડનાર ગુજરાતે મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારને વધુ એક તક આપતા 2012ની ચૂંટણીમાં વિજયી બનાવી છે. એક સમયે થઇ રહેલા ચૂંટણી પ્રચારના પ્રારંભમાં કોંગ્રેસના વાયદાઓ અને યોજનાઓ પરથી એવું લાગી રહ્યું હતું કે કોંગ્રેસ પોતાનો ગુજરાતમાં ચાલી રહેલો વનવાસ દૂર કરશે પરંતુ આખરે સર્વેસર્વા તો જનતા જ હોય છે અને જનતાએ વિકાસપુરુષ તરીકે વિશ્વ ફલક પર ઓળખાતા નરેન્દ્ર મોદી પર પુનઃ વિશ્વાસ મુક્યો છે અને ભાજપને સત્તા પર પુનઃ લાવ્યું છે.
કોંગ્રેસને મળેલી બેઠકો
2012ની ચૂંટણીમાં કોંગ્રેસના ફાળે 58 બેઠક આવતા તેનો વનવાસ યથાવત રહ્યો હતો. કોંગ્રેસને સેનાપતિ વગરની સેના અને મુખ્યમુદ્દાઓથી વિપરીતનું રાજકારણ ભારે પડ્યું હતું. 2002માં હિન્દુત્વના મોજા સામે હાર થતાં કોંગ્રેસને 51 બેઠકો મળી હતી, જ્યારે 2007માં મોદીને મોતાન સૌદાગર કહેવું ભારે પડ્યું હતું. અને કોંગ્રેસના ફાળે 59 બેઠકો આવી હતી.
કેશુભાઇ ફેક્ટર
ભાજપમાંથી અલગ પડેલા કેશુભાઇના ફેક્ટરનો કોઇ ચાર્મ જોવા મળ્યો નહતો. કેશુભાઇની જીપીપી પાર્ટીને માત્ર બે બેઠકો જ મળી છે.
2007ની ચૂંટણીનું પરિણામ
2007ની ચૂંટણીમાં કોંગ્રેસને નરેન્દ્ર મોદીને મોતના સોદાગર કહેવું ભારે પડ્યું હતું, જેના કારણે કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. 2007માં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતા 182માંથી 117 બેઠક મેળવી હતી અને કોંગ્રેસના ભાગે 59 બેઠક આવી હતી. જ્યારે એનસીપીને ત્રણ જેડીયુને એક અને અધર્સને 2 બેઠક મળી હતી. હારના કારણે સિદ્ધાર્થ પટેલને પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપવું પડ્યું હતું.
2002ની ચૂંટણીનું પરિણામ
ગોધરા અને ત્યાર બાદ આખા રાજ્યમાં ફાટી નિકળેલા રમખાણ બાદ ફુંકાયેલા હિન્દુત્વના વાવાઝોડાએ ભાજપને સત્તા પર યથાવત રાખ્યું હતું અને તેમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી હતી. ભાજપને 126 બેઠકો જ્યારે કોંગ્રેસને 51 બેઠકો મળી હતી. જ્યારે અન્યના ભાગમાં 4 બેઠકો આવી હતી. 2002ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને હિન્દુત્વનો ચહેરો કહેવામાં આવ્યો હતો અને તેમણે હિન્દુઓનો અને ગુજરાતની વિકસીત જનતાનો સૌથી વધુ વિશ્વાસ મેળવ્યો હતો. જો કે, કોંગ્રેસ પ્રજાનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ નિવડ્યું હતું. તેને જ્ઞાતિનું રાજકારણ ફળ્યું નહોતું.