મોદીને વડાપ્રધાન બનાવવાનો મુદ્દો પેટાચૂંટણીના પ્રચારમાં ઝળક્યો
ભાજપના પ્રદેશ અને જિલ્લાના નેતાઓ જુદી જુદી જાહેરસભાઓ અને જુથ સભાઓમાં મોદી સરકારની વિકાસયાત્રાની સાથે તેમને વડાપ્રધાન બનાવવાનો મુદ્દો જોડી રહ્યા છે. મોદી વડાપ્રધાન બનશે તેવો મેસેજ આપવાનું શરૂ થઈ ગયુ છે. ધોરાજી, ઉપલેટા અને પોરબંદર મતક્ષેત્રમાં કોંગ્રેસમાંથી પક્ષપલટો કરી ભાજપમાં આવેલા વિઠ્ઠલભાઈ રાદડિયાના પક્ષપલટાની સંભવિત વિપરીત અસર નિવારવા ભાજપ દ્વારા મોદીને વડાપ્રધાન બનાવવાના પ્રચારનો તુક્કો અજમાવાયાનું ચર્ચાય રહ્યુ છે.
પેટાચૂંટણીના મતદારો ભાજપના ઉમેદવારને જીતાડે તો આવતા વર્ષની શરૂઆતમાં આવી રહેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મોદીને વડાપ્રધાન બનાવવાની વાતને બળ મળશે તેવું ભાજપના સ્થાનિક આગેવાનો પ્રચારમાં જણાવી રહ્યા છે. પ્રચારમાં ક્યાંક વડાપ્રધાન તરીકે કોંગ્રેસના રાહુલ ગાંધી અને ભાજપના નરેન્દ્ર મોદીની સરખામણી પણ કરવામાં આવી રહી છે. પેટાચૂંટણીના પ્રચારમાં વડાપ્રધાન પદનો મુદ્દો ઉપસે તેવી કદાચ પ્રથમ વખત જ બન્યું છે.