વાઇબ્રન્ટ ગુજરાતઃ પ્રથમ દિવસે આ સેક્ટરમાં થયા MOU
ગ્રીન એન્ડ એફિશિયન્ટ વોટર મેનેજમેન્ટ અંગે 76 MOU
ગ્રીન એન્ડ એફિશિયન્ટ વોટર મેનેજમેન્ટ સેમિનાર અંતર્ગત 65 જેટલી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા રાજ્ય સરકાર સાથે સમજૂતી કરારો કરવામાં આવ્યા છે. જળ સંસાધનનો વિકાસ માટે જ્ઞાન તથા કૌશલ્યનાં આદાન-પ્રદાન માટે ૭૬ જેટલા પ્રોજેક્ટસમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. આ સમજૂતી કરારોની કિંમત આશરે ૬૧ હજાર કરોડ આંકવામાં આવી છે. આ સમજૂતી કરારો દ્વારા ૨૭ હજાર જેટલી નવી રોજગારીની તકો ઉભી કરાશે તેવી આશા સરકારે વ્યક્ત કરી છે. આ તકે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે રાજ્યમાં જળ વ્યવસ્થાપન ક્ષેત્રે દસ વર્ષમાં નોંધપાત્ર કામ થયું છે. નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી, ખેતી માટે સિંચાઈનું પાણી અને ઉદ્યોગોને યોગ્ય માત્રામાં પાણી મળી રહે તે માટે આ કરારો ઘણા ઉપયોગી સાબિત થશે.
પોર્ટ સેક્ટરમાં 63 MOU
પોર્ટ સેક્ટરના ડેવલોપમેન્ટ માટે 63 એમઓયુ કરવામાં આવ્યા છે. વાઇબ્રન્ટ સમિટના અવસરે બંદર અને બંદર આધારિત વ્યાપાર ઉદ્યોગના એમ.ઓ.યુ. સાઇન થયા હતા. નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં કાર્ગો મોટર્સ, એસ્સાર, અદાણી પેટ્રોપેટ, ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મીનલ લિમિટેડ, હજીરા એલએનજી, સ્વાન, એબીજી શીપયાર્ડ અને ડીએમઆઇ કંપનીઓએ રાજય સરકાર સાથે એમઓયુ કર્યા હતા. આ સેમિનાર દરમિયાન આઠ એમ.ઓ.યુ. થયા હતા. કુલ 63 એમ.ઓ.યુ. થશે. આ એમ.ઓ.યુ. પૈકી એક વલસાડ જિલ્લાના નાદોલ ખાતે પોર્ટ ઊભું કરવાનું નક્કી કરાયું છે. મુંબઇના જેએનપીટી પોર્ટ પર શીપની ભારે ભીડ થતી હોવાથી કાર્ગો સ્ટોરેજ પર મહિનાઓ સુધી માલ પડી રહે છે. કાર્ગો મોટર્સ, એસ્સાર, અદાણી પેટ્રોપેટ, ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મીનલ લીમીટેડ, હજીરા એલએનજી, સ્વાન, એબીજી શીપયાર્ડ અને ડીએમઆઇ સહિત આઠ કંપનીઓએ રાજય સરકાર સાથે એમઓયુ કર્યા હતા.
પર્યાવરણ સુરક્ષા અને જાળવણી માટેની પ્રૌદ્યોગિકીઓના વિનિમયમાં 12 MOU
વન અને પર્યાવરણ મંત્રાલય અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે અને વાઇબ્રન્ટ ગુજરાત સમીટ૨૦૧૩ના ભાગરૂપે યોજવામાં આવેલા પર્યાવરણ સુરક્ષા અને જાળવણી માટેના ટેકનોલોજી સોલ્યુશન વિષયક પરિસંવાદનો શુભારંભ વન અને પર્યાવરણમંત્રી ગણપતભાઇ વસાવાએ કરાવ્યો હતો. આ પ્રસંગે પર્યાવરણ સુરક્ષા અને જાળવણી માટેની પ્રૌદ્યોગિકીઓના વિનિમયને લગતા ૧૨ સમજૂતી કરારો થયા હતા તથા વૈશ્વિક વિષય નિષ્ણાતોએ સ્વચ્છ ઉત્પાદન, વિશુધ્દ્ધ ટેકનોલોજીનું આકલન, પર્યાવરણરક્ષક ઔદ્યોગિક વિકાસ, પ્રદૂષણમાં ઘટાડો, જીવનચક્રને લગતા સર્વોચિત લાભો મેળવવા ઊર્જાના કાર્યદક્ષ વપરાશમાં અભિવૃદ્ધિ અને કચરાનું મૂલ્યવાન ઉત્પાદનોમાં રૂપાંતરના ક્ષેત્રોમાં જાગતિક નવી પહેલો અને પ્રોદ્યોગિક વિકાસની વિગતવાર માહિતી આપી હતી.
સૌર ઉર્જા ક્ષેત્રે 12 MOU
સૌર ઉર્જા ક્ષેત્રે રાજ્ય સરકાર સાથે નેશનલ અને મલ્ટિનેશનલ કંપનીઓ દ્વારા 12 એમઓયુ કરવામાં આવ્યા છે. તેમજ એશિયન ડેવલોપમેન્ટ બેન્કે ગુજરાત સરકાર સાથે 500 મિલિયન ડોલરના એમઓયુ સાઇન કર્યા છે. મોદીની હાજરીમાં તાતા અને રિલાયન્સ સહિતની કંપનીઓએ સૌર-ઉર્જાના વિવિધ ક્ષેત્રોમાં એમઓયુ સાઇન કર્યા છે.