ઇટાલીયન મરીન કેસ: મોદીએ કર્યો યુપીએ સરકારને સવાલ!
નરેન્દ્ર મોદીએ કેન્દ્રની યુપીએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે યુપીએ સરકાર દેશની જનતાને જવાબ આપે કે તેઓ ભારતીય માછીમારોના હત્યારા બે ઇટાલીયન મરીનોને ભારત પાછા લાવવા માટે શું પગલા ભરવાની છે. મોદી સવાલ કર્યો કે આ કેસની સુનવણીમાં ઈટાલીયન મરીનને કોર્ટમાં હાજર રાખવા માટે યુપીએ સરકાર શું પગલા લઇ રહી છે?
અત્રે ઉલ્લેખનીય છે ગયા વર્ષના ફેબ્રુઆરીમાં સાલ્વાતોરે ગિરોને અને મેસિમિલીઆનો લાતોરે નામના બે ઇટાલિયન નૌકાદળના સૈનિકોએ કેરેલાના બે માછીમારો પર ફાયરિંગ કરી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ આ બંને મરીન્સ ભારતની ગિરફ્તમાં હતા, અને તેમની પર ભારતમાં કેસ પણ ચાલી રહ્યો છે.
ઇટલીમાં ચાલી રહેલી ચૂંટણીનો હવાલો આપી તેમને મતદાન કરવા માટે પોતાના દેશ જવા દેવાની પરવાનગી ભારત સરકારે આપી હતી, પરંતુ હવે ઇટાલિયન સરકાર તેમને ભારત પરત મોકલવાનો ઇનકાર કરી રહ્યું છે.
ભાજપનું કહેવું છે કે જો સરકાર આ અંગે જવાબ નહીં આપે તો સંસદ ચાલવા દેવામાં નહીં આવે. ભાજપના પ્રવક્તા તરુણ વિજયે કહ્યું કે, સરકારે જણાવવું પડશે કે શા માટે ઇટલી ભારતીય માછીમારોના હત્યાના આરોપી સૈનિકોને ભારત નહી મોકલે. યુપીએ સરકારના સહયોગી એનસીપીનું પણ કહેવું છે કે, આ મુદ્દે વિદેશ મંત્રાલયે કડક વલણ અપનાવવું જોઇએ. પીએમએ કહ્યું છે કે ઇટલી સરકારના આ વલણને સહન કરવામાં નહીં આવે.