યૂપીએની ઝાટકણી કાઢતા મોદી, ગુજરાતમાં 10 વર્ષથી ખાદ્ય સુરક્ષા છે
નાણામંત્રી પી ચિદમ્બરમે આ મુદ્દે દિલ્હીમાં મળેલી બેઠક બાદ જણાવ્યું કે તેમને વટહુકમ લાવવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી છે, પરંતુ આજના દીવસે તેને લાગૂ કરવામાં નહીં આવે આજનો દિવસ વિપક્ષી દળો તરફથી સહમતી મળી રહે તે માટે રાહ જોવામાં આવશે. બાદમાં જો તેવું નહીં બને તો અમે વટહુકમ દ્વારા ખાદ્ય સુરક્ષા કાનૂનને લાગુ કરી દઇશું.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ નેટવર્કિક સાઇટ ટ્વિટર પર ટ્વિટ કરી આ બિલ અંગે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતા લખ્યું છે કે 'ગુજરાતમાં 10 વર્ષથી ગરીબોને બે રૂપિયા કિલો ઘઉં, ત્રણ રૂપિયા કિલો ચોખા પીડીએસ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. શું આ ખાદ્ય સુરક્ષા નથી? દિલ્હીમાં બેઠેલી કોંગ્રેસની સરકાર મોંઘવારીની મારથી ત્રાસેલી ગરીબ જનતાના જખમો પર મીઠું ભભરાવવાનું કામ કરી રહી છે. દિલ્હી સરકારને દસ વર્ષ બાદ આજે ગરીબની યાદ આવી રહી છે, માટે તેની દાનત પર શંકા થાય છે.'
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહથી યુપીએ સરકાર વટહુકમ દ્વારા ખાદ્ય સુરક્ષા બિલને પસાર કરી તેના કાનૂનને લાગૂ કરવાની કવાયત ચલાવી રહી છે. ગઇકાલે પણ ચિદમ્બરમે આ અંગે જણાવ્યું હતું કે 'આ બિલના પ્રાવધાનોમાં દેશની 67 ટકાની વસતીને ખૂબ જ સસ્તા દરે એટલે કે એક રૂપિયા કિલો અનાજ, બે રૂપિયા કિલો ગઉં, અને ત્રણ રૂપિયાના દરે કિલો ચોખા આપવામાં આવશે.' ચિદમ્બરમના આ નિવેદન બાદ આજે મોદીએ યુપીએ સરકારની આ બિલ પર જાટકણી કાઢતા ટ્વિટર પર પ્રતિક્રિયા આપી હતી.