ઓખીને કારણે સુરતમાં એલર્ટ, શાળાઓમાં પણ રજા જાહેર
સુરત ઓખીના પગલે હજીરામાંથી ગેસ સપ્લાય કરાવવામાં આવ્યો બંધ. શાળા-કોલેજોમાં રજા જાહેર. આ અંગે વધુ વાંચો અહીં...
ગુજરાતમાં ઓખી વાવાઝોડાના પગરણ સાથે જ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, મંગળવારે મધરાતે ઓખી સુરતમાં પોતાનો કેર વર્તાવશે. મહેસૂલ અગ્ર સચિવ પંકજ કુમારે આ અંગે વીડિયો કોન્ફરસથી બેઠક કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાત્રે 80-90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. પરંતુ તે પહેલા જ તંત્રએ સઘન પગલાં લીધા છે, આવતી કાલે સુરતમાં તમામ શાળા-કોલેજોમાં રજા આપી દીધી છે, તેમજ તમામ કંટ્રોલ રૂમ સક્રિય કરી દેવામાં આવ્યા છે. તે ઉપરાંત સરકારી અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે, સાથે જ સુરત નજીક આવેલા હજીરામાંથી 4-5 જેટલી ગેસ લાઇનમાંથી ગેસનો સપ્લાય બંધ કરવામાં આવ્યો છે. સાંજે 5 વાગ્યા બાદ વીજળી સપ્લાય પણ બંધ કરવામાં આવે એવી શક્યતા છે.

સુરત, નવસારી તથા વલસાડમાં NDRFની ટીમ મોકલી દેવામાં આવી છે. તેમજ સુરત ક્લેક્ટરે રાત્રે 8 વાગ્યા પછી દરિયાકાંઠા નજીકના લોકેને બહાર નીકળવાની મનાઈ ફરમાવી છે. સાથે જ દરેક સંબંધિત જિલ્લાના કલેકટરે પોતાન ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ સાથે પણ બેઠક કરીને આગોતરા પગલા માટે સજ્જતા કરી લીધી છે. વાવઝોડાની અસર 6 તારીખ સુધી દેખાવાની છે. 10મી તારીખ સુધી સરકારી કર્મચારીઓની રજા પણ રદ્દ કરી દેવામાં આવી છે. લોકોને ઘરોની બહાર ન નીકળવાની તંત્રએ અપીલ કરી છે. વાવાઝોડાને લઈ વૃક્ષો, વીજ પોલ, જર્જરિત ઇમારત જેવી જગ્યાઓથી દૂર રહેવાની લોકોને અપીલ કરાઈ છે. તેમજ દરિયા કાંઠે પણ ઠેરઠેર ચેતવણીઓ લગાવવામાં આવી છે અને પોલીસ જવાનો તથા એનડીઆરએફની ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી છે.












Click it and Unblock the Notifications
