સુરતમાં PM મોદી, હોસ્પિટલ અને ડાયમંડ યુનિટનું ઉદઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. સુરત પધારેલ પીએમ મોદીએ સોમવારે સવારે પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલ કિરણ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદઘાટન કર્યું. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ આ હોસ્પિટલ રૂપિયા 400 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે.
શ્રાપ આપું છું કે લોકોએ હોસ્પિટલમાં ન આવવું પડે
આ હોસ્પિટલનું ઉદઘાટન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'હોસ્પિટલનું લોકાર્પણ થયું એનો આનંદ છે, પરંતુ હું શ્રાપ આપું છું કે લોકોએ હોસ્પિટલમાં ન આવવું પડે અને જો આવવાનું થાય તો બીજી વાર ન આવવું પડે. મને દુવિધા હતી કે હિંદીમાં બોલવું કે ગુજરાતીમાં. છેલ્લે હિંદીમાં બોલવાનું નક્કી કર્યું, જેથી દેશને પણ ખબર પડે કે કેવું કામ થઇ રહ્યું છે.'
તેમણે આગળ કહ્યું કે, દાતાઓને સૌએ બિરદાવ્યા, પરંતુ હું નહીં બિરદાવું. કારણ કે, આ લોકો જમીનમાંથી મોટા થયા છે. આપવાના સંસ્કારો સાથે આવ્યા છે. ધનથી નહીં, પરિવારભાવથી આ હોસ્પિટલ બની છે.
સ્વચ્છતાનું પર્યાય સુરત
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર સુરત પધાર્યા છે. અહીં જનસભા સંબોધનમાં સુરતની સ્વચ્છતાના વખાણ કરતાં તેમણે કહ્યું કે, સ્વચ્છતાની આદત હોવી જોઇએ. સુરત તો સ્વચ્છતાનું પર્યાય છે. રોડ શોમાં પણ આંખે ઊડીને વળગે એવી સ્વચ્છતા હતી, દિલ્હીથી આવેલા ઓફિસર પણ સુરતની સ્વચ્છતા જોઇને દંગ રહી ગયા હતા.
ડાયમંડ યુનિટનું ઉદઘાટન
હોસ્પિટલનું ઉદઘાટન કર્યા બાદ વડાપ્રધાન ઇચ્છાપોર ખાતે હરેકૃષ્ણ એક્સપોર્ટ ડાયમંડ યુનિટનું ઉદઘાટન કરવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા આનંદીબહેન પટેલ પણ હાજર રહ્યાં હતા. ઉદઘાટન બાદ મોદીએ હરે કૃષ્ણ બોલી સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે, નરેન્દ્રભાઇ પીએમ છે એટલે અહીં નથી આવ્યા. મેં તો વર્ષો પહેલાં જ સવજીભાઇનું નિમંત્રણ સ્વીકારી લીધું હતું. તેમના ગામ જઇ બાના હાથના રોટલા ખાવાનું નક્કી કર્યું હતું, પરંતુ એવું શક્ય ન બન્યું.
આર્થિક વિકાસના પંથે
તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, સુરતની ધરતીએ વર્ષો પહેલાં પીએમ તરીકે મોરારજીભાઇ દેસાઇ આપ્યા હતા. તેમણે આ ધરતીમાંથી આર્થિક વિકાસનું સપનું જોયું હતું. દેશના આર્થિક વિકાસની દિશા મોરારજીભાઇને સંતોષ આપતી. દેશને સુરત પાસે અપેક્ષા છે. સુરતે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં નોંધપાત્ર કામ કર્યું છે, હવે આપણે રત્નો અને જ્વેલરી સેક્ટરમાં આગળ વધવાનું છે. આપણે જ્વેલરીમાં નંબર 1 બનવાનું છે.
ભવ્ય રોડ શો
આ પહેલાં રવિવારે સાંજે લગભગ 7 વાગે પીએમ મોદી સુરત એરપોર્ટ પહોંચ્યા હતા. સુરતમાં પીએમના સ્વાગતની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી. એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધીના 12 કિમી લાંબા રૂટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાયો હતો. આ રોડ શોની સુંદર તસવીરો જુઓ અહીં. રાત્રે લગભગ 9.30 કલાકે પીએમનો કાફલો સર્કિટ હાઉસ પહોંચ્યો હતો.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
વડાપ્રધાનની આ બે દિવસીય ગુજરાત મુલાકાતને આગામી વિધાનસભાની ચૂંટણીનું રણશિંગૂ માનવામાં આવે છે. સુરત ખાતે નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો, તેમના સ્વાગત માટે થયેલી તાડમાર તૈયારીઓ, એ ભાજપનું શકિત પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. રાજ્યમાં લાંબા સમયથી ભાજપની સરકાર છે અને નરેન્દ્ર મોદી સતત 3 વાર રાજ્યના મુખ્યમંત્રી બની ચૂક્યાં છે. આથી મોદીની આ મુલાકાતને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
થોડા દિવસો પહેલાં જ અમદાવાદની મુલાકાતે આવેલ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 150 સીટો પર નિશાન સાધશે. 182 વિધાનસભા બેઠકોમાંથી અંદાજે 60 બેઠકો પર અસર કરતું સુરત શહેર બે દિવસથી મોદીમય બન્યું છે.