ગાંધી આશ્રમની મુલાકાતે રાષ્ટ્રપતિ કોવિંદ, કર્યું વૃક્ષારોપણ
દેશના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે રવિવારે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી.
રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ 3 સપ્ટેમ્બરને રવિવારે બપોરે અમદાવાદ પહોંચ્યા હતા. તેઓ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ તેઓ પહેલીવાર ગુજરાત પધાર્યા છે. અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રામ નાથ કોવિંદનું સ્વાગત કર્યું હતું, સાથે રાજ્યના ગવર્નર ઓ.પી.કોહલી પણ હાજર રહ્યા હતા. એરપોર્ટથી તેઓ સીધા સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. ગાંધી આશ્રમ ખાતે રામ નાથ કોવિંદે મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી વૃક્ષારોપણ કર્યું હતું.

ગાંધી આશ્રમની મુલાકાત બાદ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ હવાઇ માર્ગે મહેસાણા જવા રવાના થશે. મહેસાણામાં તેઓ એક જૈન મંદિરના કાર્યક્રમમાં હાજરી આપી ગાંધીનગર જવા રવાના થશે. ત્યાર બાદ 4 સપ્ટેમ્બર ને સોમવારે તેઓ સૌરાષ્ટ્ર પહોંચશે. અહીં જશદણ પાસે આવેલ મંદિરની મુલાકાત લઇ તેઓ રાજકોટ એરપોર્ટથી ફરી પાછા દિલ્હી જવા રવાના થશે.













Click it and Unblock the Notifications
