ગાંધીનગરઃ પડતર માંગણીઓને લઇને રિટાયર્ડ ફોજીઓની સૈનિક સન્માન યાત્રા યોજાઇ
લશ્કરી સેવામાંથી નિવૃત સૈનિકો તથા શહીદોના પરિવારો દ્વારા અમદાવાદથી ગાંધીનગર સુધી સૈનિક સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
લશ્કરી સેવામાંથી નિવૃત સૈનિકો તથા શહીદોના પરિવારો દ્વારા અમદાવાદથી ગાંધીનગર સુધી સૈનિક સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાહીબાગ, અમદાવાદ સ્થિત શહીદ સ્મારકથી પ્રારંભ થઈને ગાંધીનગર સચિવાલય પહોંચેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. માજી સૈનિકો અને તેમના પરિવારો દ્વારા તેમની પડતર માંગણીઓના નિવેડા માટે આ યાત્રા યોજાઇ હતી.
સૈનિકોને નિવૃત્તિ પછી નડતી અનેક સમસ્યાઓના નિરાકરણ માટે સોમવારે શાહીબાગ અમદાવાદથી ગાંધીનગર સચિવાલય સુધી સૈનિક સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. માજી સૈનિક સેવા ફાઉન્ડેશન અને ગુજરાત માજી સૈનિક સંગઠનના નેજા હેઠળ સચિવાલય પહોંચેલા પૂર્વ સૈનિકો અને શહીદોના પરિવારો દ્વારા વિવિધ ચૌદ મુદ્દાની માંગણી મુકવામાં આવી હતી.
મુખ્ય માંગણીઓમાં શહીદ પરિવારને એક કરોડની સહાય તથા પરિવારનાં એક સદસ્યને સરકારી નોકરી, ગાંધીનગર ખાતે રાજ્ય લેવલનું શહીદ સ્મારક તથા સૈનિકો માટે આરામ ગૃહ, સૈનિકો માટે રાજ્ય સરકાર તરફથી નોકરી માટેની અનામત, ખેતી માટે જમીન તથા રહેણાંક પ્લોટ, દારૂ માટે ભારતીય સેના દ્વારા અપાયેલી પરમીટને જ માન્ય ગણવી, કોન્ટ્રાક્ટ પધ્ધતિને બદલે સીધી ભરતી કરાય, હથિયારનું લાયસન્સ રીન્યુ કરવા માટે આગવી સુવિધા, પૂર્વ સૈનિકોના પરિવારની સમસ્યાઓના નિરાકરણ માટે કચેરીઓમાં તેની સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે ખાસ સુવિધા ઉભી કરવી, પૂર્વ સૈનિકના નોકરીના કિસ્સામાં લશ્કરમાં કરેલી નોકરીનો ગાળો સળંગ ગણવામાં આવે, પાંચ વર્ષનાં ફિક્સ પગાર વાળી પદ્ધતિ પૂર્વ સૈનિકો માટે નાબૂદ કરવામાં આવે, પૂર્વ સૈનિકને પોતાના વતનમાં જ નોકરી આપવામાં આવે, ઉચ્ચ અભ્યાસ અંગેના પ્રવેશમાં સૈનિકોના બાળકોને છૂટછાટ અપાય, સૈનિકોના બાળકોનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે અને સૈનિકો માટે લેવાતો વ્યવસાય વેરો માફ કરવાની માંગ કરવામાં આવી છે.
પૂર્વ સૈનિકો દ્વારા કરવામાં આવેલી રજૂઆતને ધ્યાને લઇને તેના નિરાકરણ માટે તા. ૧૩, જુનના દિવસે મુખ્ય સચિવ સાથે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ચારેક વર્ષથી રજૂઆત કરી રહેલા માજી સૈનિકોએ પોતાની માંગણીઓ માટે હવે આંદોલન ઉપર ઉતરી આવવું પડે એવી સ્થિતિ સર્જાય તો એ દેશની રક્ષા કરનારા જવાનોના પરિવારજનોની રક્ષા કરવા માટે તંત્ર સક્ષમ નહિ હોવાની પ્રતીતિ કરાવશે એવી પણ ચર્ચાઓ સ્થળ ઉપર સાંભળવા મળી હતી.