વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન માટે સરકારે સહાય પેકેજની જાહેરાત કરી, આટલા જિલ્લાઓને લાભ મળશે!
લાંબા સમયથી માંગ ઉઠી રહી હતી કે સરકાર ચોમાસામાં પાછળના ભારે વરસાદને કારણે થયેલા નુકસાન માટે વળતરની જાહેરાત કરે. હવે સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે.
લાંબા સમયથી માંગ ઉઠી રહી હતી કે સરકાર ચોમાસામાં પાછળના ભારે વરસાદને કારણે થયેલા નુકસાન માટે વળતરની જાહેરાત કરે. હવે સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. ગુજરાત સરકારે રાજ્યના પાછળના વરસાદની પ્રભાવિત 14 જિલ્લાઓ માટે 630.34 કરોડના પેકેજની જાહેરાત કરી છે.
630.34 કરોડના પેકેજની જાહેરાત
રાજ્ય સરકારે ખરીફ પાકમાં ભારે વરસાદથી થયેલા નુકસાનની ભરપાઈ માટે જાહેરાત કરી છે. રાજ્ય સરકારે આ માટે 630 કરોડ રૂપિયાનું સહાય પેકેજ સહાય કર્યુ છે. આ પેકેજથી ચોમાસા પ્રભાવિત ખેડૂતોને વળતર ચુકવશે.
14 જિલ્લાઓ વરસાદથી પ્રભાવિત
રાજ્ય સરકારે જાહેર કરેલા રાહત પેકેજથી ગુજરાતના 14 જિલ્લાના ખેડૂતોને સહાય ચુકવાશે. સર્વે અનુસાર, રાજ્યના 14 જિલ્લાના 50 તાલુકાઓના 2554 ગામો ભારે વરસાદને કારણે પ્રભાવિત થયા છે અને મોટા ભાગનો પાક નાશ પામ્યો છે ત્યારે આ ખેડૂતોને હવે સરકાર સહાય આપશે.
આ જિલ્લાઓનો સમાવેશ
આ જિલ્લાઓની વાત કરીએ તો, છોટાઉદેપૂર, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, કચ્છ, જૂનાગઢ, મોરબી, પોરબંદર, આણંદ અને ખેડા જિલ્લાના 50 તાલુકાના 2554 ગામોના ખેડૂતોને લાભ મળશે.
8 લાખથી વધુ ખેડૂતોને લાભ મળશે
રાજ્ય સરકારના આ પેકેજથી ગુજરાતના 8 લાખથી વધુ ખેડૂતોને 9.12 લાખ હેક્ટર વિસ્તાર માટે સહાય આપવામાં આવશે. આ સહાય 33 ટકાથી વધુ નુકસાન થયુ હોય એવા પાકો માટે ચુકવવામાં આવશે.
કૃષિ મંત્રીએ શું કહ્યું?
કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિગતો આપતા જણાવ્યુ કે, આ સહાય પેકેજ અંતર્ગત એવું નિર્ધારીત કરવામાં આવ્યું છે કે ૩૩ ટકા અને તેનાથી વધુ પાક નુકશાન થયું હોય તેવા ખેડૂત ખાતેદારોને ખેતી પાકો માટે (કેળ સિવાયના) હેક્ટર દિઠ ૬૮૦૦ સહાય મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં SDRF તેમજ સ્ટેટ બજેટમાંથી આપવામાં આવશે. જયારે કેળ પાકને થયેલા નુકશાન માટે કુલ ૩૦,૦૦૦ ની હેક્ટર દિઠ સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં (SDRF બજેટમાંથી 13500 પ્રતિ હેકટર ઉપરાંત રાજય બજેટમાંથી વધારાની સહાય તરીકે 16500 પ્રતિ હેકટર) આપવાની જોગવાઇ આ પેકેજમાં કરવામાં આવેલી છે.
અહીં અરજી કરો
કૃષિ મંત્રીએ વધુમાં કહ્યું કે, જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે SDRF ના ધોરણો અનુસાર સહાયની ચુકવવાપાત્ર રકમ ૪ હજાર કરતાં ઓછી થતી હોય તો પણ તેવા કિસ્સામાં ઓછામાં ઓછી ૪ હજારની સહાય ચુકવવાની રહેશે. આ સહાય માટે કાર્યવાહી ઓનલાઈન થાય તે હેતુસર સરકારે ડિજિટલ ગુજરાત માધ્યમ પર કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મૂકવાની તથા આ માટે ખેડૂતો દ્વારા સાધનિક કાગળો સહિત નજીકના ઈ-ગ્રામ સેન્ટર પર ઓનલાઈન અરજી માટેની વ્યવસ્થા ઉભી કરેલી છે. આ માટે ખેડૂતોએ કોઈ ચુકવણી કરવાની રહેશે નહીં.